ધરમ- નિયમ…

નામ તો હતું  શિવરામનારાયણ,પણ છેક ભારતથી અમેરિકા આવી, હરિ-ટેમ્પલમાં શાસ્ત્રીય રીતે પૂજા-પાઠ,આરતી તેમ જ તહેવારો અનુસાર ભગવાનના વસ્ત્રો બદલવા વી.કાર્યો બહુ નિયમપૂર્વક કરતા હોવાથી, તેમને સહુ કોઈ આદરપૂર્વક શાસ્ત્રીજી જ કહેતા. તેઓ ધર્મ-નિયમના અતિ ચુસ્ત હતા.”મારો ધરમ-નિયમ એટલે મારો ધરમ-નિયમ.  તેમાં કોઈ બાંધછોડ કરું જ નહિ.” તેઓ  મંદિરમાં પોતાનું પોતે જાતે રાંધીને જ ખાય, કોઈનું લાવેલું, મોકલેલું ભૂલથી પણ ન ખાય એટલે ન જ ખાય.

માનપૂર્વક આભાર માની: “મારો ધરમ-નિયમ એટલે મારો ધરમ નિયમ. તેમાં કોઈ ફેર નો પડે.” એમ કહી બે હાથ જોડી “હરિ-હરિ ” બોલે. કોઈને ત્યાં સત્યનારાયણની કથા વાંચવા જાય તો પ્રસાદ માથે ચડાવે પણ મોમાં ન મૂકે કે ન ચા કે દૂધ પણ પીએ.તેમના મનમાં એમ જ થયા કરે કે “આ બધા અમેરિકામાં રહેતા આ જ વાસણોમાં નોન-વેજ પણ ક્યારેક રાંધતા હોય તો કોને ખબર ? 

દૂધના ગ્લાસમાં દારૂ પણ પીતા હોય તો નવાઈ નહિ. અને તેમ ન થતું હોય તો ય,  ઘર તો સાવ અભડાયેલું જ કહેવાય. દૂધ કે પ્રસાદ આવા ઘરનો કેમ સ્વીકારાય?”                                               

અમદાવાદથી અમેરિકા આવવા રવાના થાય તો પ્લેનમાં અપાતું  કાંઈ કરતા કાંઈ લે કે ખાય નહિ.ચા-કોફી પણ નહિ.અરે ત્યાં સુધી કે પાણી પણ તેઓ વર્જ્ય જ માને અને ભૂખ્યા-તરસ્યા જ ચોવીસ કલાકની મુસાફરી કરે. મનમાં “હરિ હરિ”સ્મરણ કરતા રહે અને મન-શરીર થાકે અને આંખ ભારે  થઇ જાય તો ઝપકી મારી લે, થોડીક ઊંઘ ખેંચી કાઢે અને સામેના  ટી.વી.પર જયારે પ્લેન કેટલા અંતરે છે, કેટલી  વારમાં પહોંચશે વી.ની માહિતી નકશામાં જોયા કરે. બીજું કાંઈ આવે તો આંખ બંધ કરી દે. મંદિર પહોંચી,નાહી -ધોઈ, કોઈ ભક્તે લાવી રાખેલ ફળ ખાઈ, જાતે રાંધવા મંડી પડે. ભાખરી –  દૂધ ખાઈ લે, કે કેળાનું શાક બનાવી તેની સાથે, ભાખરી ખાઈ લે. પ્લેનમાં હોસ્ટેસ ફ્રુટ આપવાની ઈચ્છા દર્શાવે તો ય ના જ પાડે. જે હાથે દારૂના પીણા કે નોનવેજ પીરસાતું હોય તે હાથે ફ્રુટ અપાય તો તે તેમને માન્ય નહિ એટલે નહિ જ. તેમના પત્ની અને બાળકોને અમેરિકા આવવાનો વિઝા હજી મળ્યો નહોતો, એટલે પોતે અને પોતાના હરિ જ તેમનો સંપૂર્ણ સંસાર.

સમય-સમય,પર -ખાસ કરીને,સાંજની આરતી- ટાણે, થોડા ભક્તો આવે તો તેમની સાથે થોડી ઔપચારિક વાત-ચીત થાય એટલો જ તેમનો લૌકિક વહેવાર.                                                       

બાકી તો તેમને ગીતા કંઠસ્થ, વિષ્ણુ સહસ્રનામ મોઢે, ‘તુલસી- રામાયણ’ની કેટલીય ચોપાઈઓ જીહ્વાગ્ર પર, ભજનો તો સેંકડો, સૂતા-જાગતા, હરતા-ફરતા ગાયા જ કરે.  દરરોજ વહેલી સવારે નાહી-ધોઈ  મન્દિરની બહાર આવી, દરવાજો પગથી બંધ થતો રોકી, જો સૂર્ય ઊગ્યો હોય તો ય અથવા ન ઊગ્યો હોય તો ય તે દિશામાં નમસ્કાર કરે, “ઓમ  ભૂર્ભ્વ:સ્વ:નો” શ્લોક બોલે,”કરાગ્રે વસતે લક્ષ્મી” એ શ્લોક પણ હથેળીઓ  ખોલીને  બોલે અને પછી મંદિરમાં પાછા ફરી, ભગવાનની વિધિવત પૂજા શરુ કરે અને તત્પશ્ચાત જ પોતાની ચા બનાવે અને રાતે બનાવેલી ભાખરી સાથે, આદત પ્રમાણે ચા-નાસ્તો કરી લે. એક વાર સંયોગે મંદિરની ચાવી પણ અંદર જ રહી ગયેલી અને પગથી દરવાજો બંધ થતો રોકેલો, તે પગ ખાલી ચઢતા, ધ્રસ્કી જતા, ધડામ કરતો, બંધ થઇ ગયો. અને તેઓ અવાક થઇ ગયા,ગભરાઈ ગયા,મૂંઝાઈ ગયા.  ભર- શિયાળાનો ઠંડોગાર, સ્નોવાળો દિવસ અને ચાવી રહી ગઈ અંદર. સાંજે આરતી સમયે  કોઈ કાર્યકર્તા આવે ત્યારે જ હવે તો મંદિર ખુલે. ટાઢ તો હાડ થીજવી નાખે એવી,શરીરને પગથી માથા સુધી ધ્રુજાવી દે તેવી!                            

આજુબાજુમાં કોઈ ભારતીય તો સોગન ખાવા પૂરતું ય કોઈ કરતા કોઈ નહિ. નજીકમાં જે થોડાક ઘર હતા, તેમાં ય રહેનાર અમેરિકનો તો  જોબ પર જ ગયેલા હોય.પરંતુ સદભાગ્યે એક ઘરમાં રહેતા  વયોવૃદ્ધ પતિ-પત્નીએ, શાસ્ત્રીજીને મંદિરની બહાર ધ્રુજતા-કાંપતા જોયા કે  તરત જેકેટ -જોડા-હેટ પહેરીને  અને એક વધારાની જોડી સાથે લઈને, એ પતિ દોડાદોડ આવ્યો અને પત્ની દૂરથી, દ્વારે ઊભી રહી જોતી રહી કે શાસ્ત્રીજીને લઈને તેનો પતિ તરત ઘરમાં પાછો આવે છે કે નહિ? પરંતુ શાસ્ત્રીજી તો “ના-ના”  જ કરતા રહ્યા અને તે ભલો અમેરિકન વૃદ્ધ, તેમને હાથ પકડી ઝડપથી જેકેટ,જોડા- હેટ પહેરાવી પોતાને ત્યાં લઇ આવ્યો. ધ્રુજતા શાસ્ત્રીજી માટે વધારાનું પોર્ટેબલ હીટર સ્ટાર્ટ કરી, તેમને પૂરતી ગરમી આપી-પહોંચાડી,શાંત- સ્થિર કર્યા.તેમને ચા-કોફી-દૂધ માટે પૂછતા

 તેમણે ઘસીને ડોકું  હલાવી ના પાડી, ત્યારે એ ભલા ભોળા પતિ-પત્નીએ, તેમને મોટું એવું પાકેલું કેળુ આપ્યું અને તેમના ઇશારાથી સમજી પેપર કપમાં દૂધ ગરમ કરીને આપ્યું.

હવે શાસ્ત્રીજીના પ્રાણમાં પ્રાણ આવ્યા અને પોતા કરતા ય આ વિધર્મી દંપતિને, સાચો માનવધર્મ દર્શાવતા જોઈ તેમની આંખો ખુલી પણ ગઈ અને અશ્રુ -વાણીમાં આભાર પણ વ્યક્ત કરવા લાગી ગઈ. તેમણે પોતાની સારી યાદદાશ્તના આધારે ફોન કરી, એક નિવૃત્ત થયેલ ટ્રસ્ટીને, પોતાની આખી આપવીતી, વિગતે સમજાવી, તાબડતોબ, વધારાની ચાવી લઇને, આવવા માટે વિનંતિ કરી.એ ભાઈ  આવતા જ, તેમની સાથે મંદિરે જતા-પહોંચતા પહેલા, શાસ્ત્રીજીએ આવડતો હતો એ ‘થેંક્સ’ શબ્દ- પ્રયોગ, ભીની આંખે અને ભાવભીના સ્વરે,થોથવાતા થોથવાતા, ભરેલા, ભાવે ઉભરેલા  હૈયે કર્યો અને મનમાં કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી લીધું કે પોતાના ધરમ નિયમ કરતા આ વિધર્મી દંપતિનો માનવધર્મનો નિયમ ધરમ શત પ્રતિશત ઘણો ઘણો આગળ છે. તેમનું હૈયું અને મસ્તક તો ઝુકી જ ગયું આ મહા માનવ ધર્મના વૈશ્વિક નિયમ-ધરમની સામે.

(સમાપ્ત)     

માતૃ- મંદિર…

સાવ નાની ઉમરમાં જ વિધવા થઇ ગયેલી જ્યોતે, પોતાના  રાંકના રતન જેવા એક માત્ર લાડકડા પુત્ર કીર્તિને,સારામાં સારું ભણાવી-ગણાવી એન્જીનિયર બનાવવાનું સ્વપ્ન રાત-દિવસ જોતા રહી, પતિની પણ એવી જ ઈચ્છા હતી, તે યાદ રાખી, તે પ્રમાણે પોતાની દિનચર્યા અને જીવનશૈલી અપનાવેલી.

એ માટે તે રાત-દિવસ ઘરે-ઘરે ફરી, અર્ધી રાત સુધી કરેલા ખાખરા,નાસ્તા માટેની, મીઠા-જીરાની તેમ જ ફરસી સ્વાદિષ્ટ પુરીઓ તેમ જ પાણી-પુરીની ફૂલેલી પુરીઓ,ભેળપુરીની પૂરીઓ વી.નાસ્તા વેચતા રહી,ઉનાળાના તડકામાં ખીચાના-સાબુદાણાના  પાપડ-પાપડી બનાવી, સૂકવી-વેચી, તેમજ બપોરે-સાંજે,જેને જરૂર હોય તેને જમવાના ટિફિન પહોંચાડી,  પોતાનો ઘર-ખર્ચ તેમ જ કીર્તિને ભણાવવાના ખર્ચને પહોંચી વળવા અથાગ પ્રયાસ કરતી રહેતી.અને માની ઈચ્છા,ભાવના અને સ્વપ્નને પૂરું કરવા કીર્તિ પણ ખંતથી,હોંસથી અને પૂરા પરિશ્રમથી ભણતો રહેતો. જ્યોતના પતિ રશ્મિનના ખાસ મિત્ર, જેને જ્યોત સગા ભાઈથી પણ વિશેષ માનતી તે, પ્રોફેસર વસંત, કીર્તિને  શિષ્યવૃત્તિ વી. અપાવી, હૈદરાબાદ શહેરની નજીકના જ શહેર વારંગલની રીજનલ એન્જીનિયરિંગ  કોલેજમાં એડમિશન અપાવી,  તેને ૪ વર્ષમાં  સિવિલ એન્જીનિયર બનાવી,એક જાણીતા ઉદ્યોગપતિ અને મોટા બિલ્ડરને ત્યાં તેને નોકરી પણ, બહુ વધારે નહિ,બહુ ઓછો નહિ, તેવા  પગારે, પોતાની ઓળખાણના આધારે અપાવી દીધી.
 પ્રોફેસર વસંતના ચારે ચાર પુત્રો અમેરિકા પહોંચી ગયા હતા-બે ડોક્ટર થઈને, તો બે એન્જીનીયર થઈને. કીર્તિ સાથે ભણેલા લગભગ બધાજ મિત્રો સ્ટુડંટ-વિસા લઇ અમેરિકા  પહોંચી ગયા હતા. કીર્તિને પણ અંદરથી બહુ મન થતું કે પોતે પણ ત્યાં અમેરિકા પહોંચી ખૂબ કમાઈ-ધમાઈ, પોતાના મિત્રોની જેમ, પોતાનું કરિયર બનાવે.

તેણે ડરતા-ડરતા માતા  જ્યોતને પોતાની ઈચ્છા દર્શાવી. જ્યોત પુત્રનું ભવિષ્ય સુધરે અને તે ખૂબ-ખૂબ સુખી થાય તેમ હૃદયપૂર્વક  ઇચ્છતી હતી; પણ એકના એક પુત્રના વિદેશ જવાથી જે લાંબો વિયોગ સહેવો પડશે તેની કલ્પના માત્રથી ડરી રહી હતી. તેણે બિલકુલ તટસ્થ ભાવે સલાહ આપી:”તું સહુથી પહેલા વસંત મામાને  મળી આવ અને તેઓ જેમ કહે તેમ નક્કી કરજે.તેમના તો ચારે ચાર પુત્રો અમેરિકા જ ગયેલા છે;  અને તું ત્યાં જઈશ તો તને તેમની મદદ પણ મળી જશે. તું સીધો ફોન કરી તેમને મળી આવ. હું તેમને કાંઈ પણ મારા તરફથી કહેવાની નથી.તેઓ સાચી અને યોગ્ય જ સલાહ આપશે.”

કીર્તિ તો ખુશ-ખુશ થતો,રાજી-રાજી  થતો વસંતમામાને ઘેર પહોંચ્યો. તેને ખાતરી હતી કે પોતાના પુત્રોને મોકલી તેમનું ભવિષ્ય બનાવનાર મામા, તેને પણ ત્યાં જવા માટે પ્રોત્સાહિત  કરશે જ અને કૈક સગવડ પણ કરી આપશે.

 વસંત  અને તેની પત્ની એક વાર વેકેશનમાં ત્યાં જઈ આવ્યા હતા.તેમણે દિલ ખોલીને કીર્તિ સાથે લંબાણથી વાતચીત કરી અને સાચી સલાહ આપતા કહ્યું: “જો, દૂરથી ડુંગરા રળિયામણા લાગે.ત્યાં મહેનત-મજૂરી ગધેડાની જેમ કરવી પડે છે અને જોબમાં પૂરા આઠ કલાક વૈતરું કરવું પડે છે. ભણવાનું મોંઘુ પણ છે  અને જો સાથે મળે તો નાનો-મોટો જોબ પણ કરવો જ પડે છે. તું ત્યાં બેવર્ષ ભણીશ,તે પછી એક-દોઢ વર્ષ જોબ કરી એચ-વન વિસા મેળવી અહીં પરણવા આવીશ. તે પછી બે ટિકિટ  લઇ પાછો ત્યાં જઈશ. છેક પાંચ વર્ષ પુરા થશે અને તે ગ્રીનકાર્ડ મળ્યા પછી બીજા પાંચ વર્ષે  સિટિઝનશિપ મળશે. એટલે    તું જ વિચાર કર, તારા માટે રાત-દિવસ મહેનત- મજૂરી કરી, તને ભણાવીગણાવી, એન્જીનિયર બનાવનાર, તારી માતાનું ત્યાં સુધી તેને અહીં એકલી મૂકી છોડી
ત્યાં અમેરિકા ચાલી જઈ, તું તેનું શું   ભલું કરીશ-શું દળદર ફીટવાનો? ભાગ્ય માણસનું પોતાની સાથે જ હોય છે. તું અહીં પણ ભવિષ્યમાં ઘણો સુખી થઈશ જ. કાંઈ નહિ તો તારી માતાને તો સુખી કરીશ જ.પરણીશ તો દીકરા-વહુ સાથે રહેવાનો, તેને લ્હાવો પણ મળશે. મારી સલાહ માની લે અને માતાની સેવા કર, તેના આશીર્વાદથી, અહીં જ સુખેથી રહે. પ્રભુ તને સદબુદ્ધિ આપે.”

કીર્તિને ક્ષણભર તો મામાની સલાહ થોડી અળખામણી  અને કડવી લાગી; પણ ઘર જતા-જતા તેને તે વાત ગળે ઉતરી અને ઘેર પહોંચી માતા જ્યોતને જોઈ,  ત્યારે  લગભગ રડી પડતા, ગદગદ કંઠે બોલ્યો: “બા, તને  છોડી મારે ક્યાય જવું નથી. તું જ મારું અમેરિકા છે, તું જ મારું સ્વર્ગ છે.” જ્યોત પુત્રની સાચી લાગણી જોઈ, તેની ભાવના જાણી ,તેનો માતૃપ્રેમ અનુભવી,  રોઈ  પડી. તેને મામાએ સાચી જ સલાહ આપી. મા તો પ્રેમાળ હોય જ; પણ  મામા તો  બે મા જેટલા, પ્રેમાળ નીકળ્યા.  તે રાતે તેને પતિનું સ્મરણ કરતા-કરતા અને પુત્રના સુખમય ભવિષ્યનું સ્વપ્ન  જોતા  જોતા ઘણી શાંતિભરી ગાઢ ઊંઘ આવી.

જે બિલ્ડર પાસે તે કામ કરતો હતો, શીખતો હતો ત્યાં પોતાની સૂઝ-સમઝ થી તેણે ઘણું બધું જાણી  લીધું. તેનો પગાર પણ વધતો ગયો અને તે એક વાત બરાબર સમજી ગયેલો કે કરકસર મોટો ભાઈ છે, તેથી તે ઉડાઉપણાથી હમેશા બચેલો રહેતો અને બચતમાંથી જ્યાં,જયારે,જેવી અને જેટલી મળે તેટલી જમીનો ખરીદે જતો. તે સો ટકા  સમજી ગયો હતો કે  દુનિયામાં ત્રણ ભાગ પાણી છે અને એક જ ભાગ જમીન છે, તેથી જમીનના  ભાવ તો વધવાના  જ વધવાના. બે વર્ષના અનુભવ પછી  કીર્તિએ પોતાનું કામકાજ શરૂ કરી દીધું.

સસ્તા ભાવે લીધેલા મોટા પ્લોટ પર, મધ્યમવર્ગના પરિવારો માટે નાના-બે-ત્રણ રૂમના ખૂબ  સગવડભર્યા ફ્લેટો બનાવી, ઠીક-ઠીક કમાણી કરી લીધી.તે પછી તો એકથી બીજે,મોઢે-મોઢ વખાણ થતા,તેને બાંધકામના ઓર્ડરો પણ મળવા લાગ્યા.મમ્મીને બધા મહેનત-મજૂરીના કામ તો તેણે બહુ પહેલાજ છોડાવી દીધા હતા.નાનકડી  ટી.વી.એસ. સ્કૂટી થી શરૂ કરેલી તેની  સફર મોટરબાઈક સુધી પહોંચી અને એક મોટા કામકાજમાં ધૂમ કમાણી થતા તે કાર પણ ખરીદી શક્યો. કારનો રંગ પસંદ કરવા તે મમ્મીને સાથે લઇ ગયો,તેમાં તેને બેસાડી અને પછી ચલાવી, ઘર જતા પહેલા,ઘરની પાસેના નાનકડા મંદિરમાં જઈ, ભગવાનને પગે લાગી, કારની પૂજા કરી, કારને હાર ચડાવી, નારિયેળ વધેરી, કારમાં સહુથી પહેલા તે  વસંત  મામાને ત્યાં મમ્મીને લઇ જઈ, તેમને પગે લાગ્યો.”તમારી સલાહ માનવાથી હું અને મમ્મી સુખી જ સુખી થયા છીએ.” આશીર્વાદ આપતા  વસંત  મામાએ કહ્યું:”આ તો શરૂઆત છે.આગે આગે દેખિયે હોતા હૈ ક્યાં?”

અને તેમની વાત સાચી જ નીકળી, સોએ સો  ટકા સાચી જ પુરવાર થઇ.પોતાના એક નહિ-નાના,નહિ- મોટા એવા પ્લોટ પર, પોતાનું મકાન પણ બાંધ્યું.તે પ્લોટને અડીને એક બીજો પણ મોટો પ્લોટ સસ્તામાં મળી ગયો, તો તે પણ લઈને રાખ્યો. હવે તે સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન આપવા લાગી ગયો.પોતે ભણતી વખતે મુશ્કેલીઓ જોઈ હતી એટલે સહુથી પહેલા તો સમાજ માં તેણે બુક-બેંક ઊભી કરી. તે માટે પોતે બહુ જ મોટું દાન આપ્યું,ચારે બાજુથી ફંડ-ફાળો કરી તે બુક્ બેંકને સદ્ધર બનાવી. મેડિકલથી લઈને,એન્જીનિયરિંગ  સુધીના અને બીજા પણ બધાજ અભ્યાસક્રમો માટે જેને જોઈએ, તેને ભણવા માટે ગમે તેટલા મોંઘા હોય તો ય, બુક્બેન્ક્માંથી પાઠ્યપુસ્તકો,રેફરેન્સબુકો પણ મળી શકે, તેવી વ્યવસ્થા કરાવી અને પોતે જ તેનો ચેરમેન બન્યો. ખૂટતા પૈસા ભેગા કરવાની અને એમરજન્સીમાં પોતે જ જોઈતી જરૂરી રકમ ભોગવી લેવાની તેની તૈયારી જોઈ મોટા મોટા દાતાઓ પણ મોંમાં આંગળા નાખી ગયા.આ બુક બેંક  ભણતા જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન પુરવાર થવા લાગી.તે પછી તે મંદિરો માટે દાન-ધર્માદો ભેગો કરવા લાગ્યો અને પોતે પોતાની આવકનો દસમો ભાગ તો આપતો જ હતો  અને અન્નદાનનો પણ, અઠવાડિયે એક વાર, જુદા-જુદા સ્થળોએ કાર્યક્રમ ગોઠવતો. બીજાઓને પણ તે પ્રમાણે  દસ ટકા નું નિયમિત દાન આપવાની પ્રેરણા દેવા લાગ્યો. મંદિરના  બાંધકામની ફી તો તે લેતો જ નહિ, તેથી તેનું  જાહેરમાં માંન-સન્માન થવા લાગ્યું.

પોતાની માતાની સ્થિતિ તે એક વિધવા તરીકે જોઈ ચૂક્યો હતો અને તેથી તેણે નિ:સહાય એવી વિધવાઓ માટે અને તેમના બાળકો માટે ભણાવવા-ગણાવવાની,રહેવાની નિ:શુલ્ક  વ્યવસ્થા કરવાના આશયથી, પોતાના ઘરની પાસેના,અડીને જ ઊભેલા પ્લોટ પર, વિશાળ, અનેક માળવાળું ભવન બાંધ્યું અને તે આશ્રયભવનને  ‘માતૃ મંદિર’ નામ આપ્યું અને તેનું ઉદ્ઘાટન પોતાની મમ્મીના હાથે જ કરાવ્યું,જેમાં મુખ્ય અતિથી તરીકે તેના  વસંતમામા જ હતા.

બે શબ્દોમાં તે એટલું જ બોલ્યો: “મને અમેરિકા ન જવાની સાચી સલાહ આપનાર અને મારી માતાનું જ સુખ જોનાર આવા મામા સહુને   મળજો.મને અહી ધન તો ખૂબ-ખૂબ  મળ્યું જ છે; પણ સાથે-સાથે  માન -સન્માન પણ  પુષ્કળ મળ્યું છે.આ બધું મારી માતાના આશીર્વાદનું ફળ છે તેથી આ ‘માતૃ- મંદિર’ તેમનાવરદ હસ્તે જ લોકાર્પણ કરું છું.”  હાજર રહેલા સહુ કોઈએ તાળીઓના ગડગડાટ થી તે લોકાર્પણ વધાવી લીધું.

અનેક અનેક નિરાશ્રિત નિ:સહાય વિધવા માતાઓના નેત્રોમાંથી આશીર્વાદમિશ્રિત હર્ષાશ્રુ  વરસ્યા.

(સમાપ્ત)

મૂવી બનાવો મૂવી…

વાર્તાકાર વિનયકુમાર પોતાનો  નવો  વાર્તાસંગ્રહ શુભદાબહેનને ભેટ આપતા બોલ્યા:”‘આ વાર્તા સંગ્રહ તો મેં તમને જ અર્પણ કર્યો છે કારણ કે તમે મારી દરેક વાર્તાના પ્રથમ વાચક અને પ્રશંસક રહ્યા છો.તમારી પ્રેરણા,પ્રશંસા અને  પ્રોત્સાહને જ મને સફળ વાર્તાકાર બનાવી દીધો છે અને અત્યારે મારો આ તમને અર્પણ કરેલો સોળમો વાર્તાસંગ્રહ ભેટ આપતા પ્રસન્નતા અને ધન્યતાનો અનુભવ કરું છું.”

 શુભદા બોલી:” આ વાર્તાઓ લખવાનું બંધ કરો અને મારા તથા મારા પરિજનોના જીવન પર મૂવી બનાવો મૂવી! “

 “મૂવી કેવી રીતે બને? મેં તો હજી નોવલ પણ લખી નથી.મૂવીમાં તો લાંબી વાર્તા જોઈએ,સમાંતર ચાલતી એક સાથે ચાલતી વધારાની વાર્તા પણ જોઈએ, અનેકાનેક પાત્રોની ભરમાર જોઈએ,નાયક-નાયિકા અને વિલન જોઈએ.આ બધા મને ક્યાંથી મળે? “

” લઇ લો અમારા જીવનના બધા જ પાત્રોની વાર્તા.અમારી જીવનગાથામાં શું નથી? ચમત્કૃતિ પણ છે,સસ્પેન્સ પણ છે,ઘટનાઓ પણ છે,એકથી વધુ હીરો-હિરોઈન છે,વિલન પણ છે અને મનોરંજન પણ છે.”

” તો આપો પ્લોટ, પટકથા માટેનો અને આપો થોડાક હ્રદયસ્પર્શી   પાત્રો.તો ય મૂવી તો પછી બને.પહેલા તો માત્ર લાંબી વાર્તા કે નવલકથા લખવી પડે.”

 “તો  સાંભળો અમારા પરિવારની વૈવિધ્યપૂર્ણ વાર્તા.મૂવી બને એવી જ વાર્તા છે. સાંભળો:”-હું અને તમારા ભાઈ રસિક ઘરમાંથી ભાગીને આર્યસમાજી વિધિથી ચુપચાપ પરણી ગયેલા.હજી તો સ્કુલમાં જ ભણતા હતા.

હું રોજ મારા ગોળ બિલ્ડીંગ’ચાલથી નીકળી તેમની ‘મહાવીર ચાલ’માં મારી બહેનપણીને સ્કુલે જવા,  બોલાવવા જતી તો આ અમારા રસિક તેની પાસે જ રહેતી હોવાથી અમે ત્રણેય સાથે જ નીકળી પડતા.બપોરે રિસેસમાં સાથે જ સાથે બપોરનો ઘરેથી લાવેલો નાસ્તો ભેગા ભેગા કરતા.મારી બહેનપણીને રસિક સાથે પ્રેમ થઇ ગયેલો અને રસિકને મારી સાથે.પ્રણય ત્રિકોણનો પ્લોટ. મને તો પ્રેમની  બહુ ખબર નહોતી પડી;પણ રસિક મને ગમતો બહુ.વાતોડિયો,રમતિયાળ- હસતું મોંઢું,દેખાવે ગોરો ગોરો,રમતગમતમાં વિજેતા,તોફાનમસ્તીમાં અને હડતાળો કરાવવામાં ધમાલિયો,આંખોમાં ય પ્રેમથી વાતો કરતો હોય એવા ભાવ.મારી બહેનપણી રખડી પડી અને અમે, તે મને ભગાડી ગયો એટલે, પરણી ગયા.              

મારા બાને તો મારા પિતા છોડીને કોઈ વિચિત્ર આધ્યાત્મિક ધુનમાં હિમાલય કે ગિરનાર ચાલ્યા ગયા હતા.અમે બ્રાહ્મણ અને રસિક તો વાણિયો.અમારું ભાગીને પરણવું ન તેના માબાપને ગમ્યું કે ન મારા બાને પસંદ આવ્યું.તેના માબાપે તો અમને આશીર્વાદ આપવા તો દૂર રહ્યા,અમને ઘરના ઉંબરામાં ય ન આવવા દીધા.”ભાગી ને પરણ્યા છો તો હવે આ ઘરમાંથી ભાગીને જ તમારો ઘર- સંસાર માંડો.ભણ્યા નહિ,ગણ્યા નહિ અને બસ સિનેમા-નાટકના પાત્રોની જેમ ઘરમાંથી નાસીને પરણવાનું મોટું પરાક્રમ કરી બેઠા  છો તો હવે ચલાવો  ઘરસંસાર ! ખબર પડશે કેટલે વીસે સો થાય છે એ.”

અમે મારી બા પાસે ગયા તો એ પણ ગિન્નાયા તો બહુયે;પણ અંતે તો દીકરીની  માનું દિલ અને તે ય ત્યક્તા માનું દિલ.અમને ઘરમાં આશરો આપ્યો. તેમનો અથાણા-મસાલા પાપડ-પાપડી બનાવવા -વેચવાનો ઘરઘરાઉ વ્યવસાય હતો.અમે ત્યાં રહીને મેટ્રિકની પરીક્ષા જેમ તેમ આપી અને એ જમાનામાં જ શરૂ થયેલી રેશનિંગ ઓફિસમાં નસીબે નોકરી પણ મેળવી લીધી.સાંજની કોલેજમાં ભણી ભણી રસિક તો ધીરે ધીરે બી.કૉમ થઇ ગયા અને બેન્કની પરીક્ષા આપી બેન્કમાં દાખલ થઇ ગયા.મારે પણ આગળ ભણવું હતું;પણ મારા સારા કે જે સમજો એવા નસીબે ત્યારે રશિયા અને ભારતમાં શરૂ થઇ ગયેલી  પંચવર્ષીય યોજનાનુસાર મેં પાંચ વર્ષમાં ચાર દીકરાઓને અને એક દીકરીને જન્મ આપતા રહી, બાની છત્રછાયામાં માતૃત્વ અને ગૃહિણીનું કાર્યક્ષેત્ર સંભાળ્યું .સાથે જ સાથે સાથે હું બાના  કાયમી ઘરઘરાઉ વ્યવસાયમાં ય બનતો સાથ-સહકાર સહેજે સહેજે આપતી રહી. 

રસિકે બેન્ક્માથી લોન લઈને અને મારી બાની બે રૂમની ચાલ વેચીને એક સારો એવો ત્રણ બેડ રૂમનો ફ્લેટ લીધો -અમદાવાદથી  દૂર બોપલમાં.બેન્કની નોકરી કરતા કરતા તે કેલેન્ડરો,ડાયરી,ગિફ્ટ આઈટમો વી.નો સાઈડ બિઝનેસ બેંક કસ્ટમરોના સપોર્ટથી સારો અને જોરદાર એવો કરતો રહેતો હોવાથી, અમે ફ્લેટને સરસ શણગારી, બાળકોને બેસ્ટ સ્કુલમાં ભણાવવા લાગ્યા.મેં પણ ઘરમાં જ નર્સરી સ્કુલ શરૂ કરીને કમાવાનું શરૂ કરી દીધું.બા તો ઘરડું પાન હતા અને હવે થાકેલા હોવાથી તેમનો જુનો ઘરઘરાઉ મસાલા વી.નો ધંધો  તેમણે ગુડવિલથી પોતાની મદદનીશને વેચી દીધો અને ધર્મયાત્રાઓ શરૂ કરી દીધી.એવી એક ધર્મયાત્રામાં તેમને મારા સન્યાસી બની ગયેલા પિતાશ્રી  મળી ગયા અને તેઓ સન્યાસનો સન્યસ્ત કરી, બેઉ સાથે, અમને જોવા- મળવા આવ્યા.તેમની ખુશીનો પાર ન રહ્યો.અમારા આનંદની પણ કોઈ સીમા ન રહી.                           પરંતુ અમારા દુર્ભાગ્યે ગુજરાતમાં આવેલ ધરતીકંપમાં અમે તો બચી ગયા;પણ અમારા વડીલ જેવા મારા માબાપ તો મરણ શરણ થઇ ગયા.ફ્લેટ તો કડડભૂસ થઇ જવાથી અમે બધું જ ગુમાવી બેઠા.બેંક- લોન વીમા સાથેની હોવાથી અમને માતબર રકમ મળી, જેમાંથી ફરી પાછો અમે વડોદરામાં ફ્લેટ લીધો.વડોદરામાં ફ્લેટ લેવાનું કારણ તો એટલું જ કે રસિકનું ટ્રાન્સફર બેન્કે વડોદરામાં પ્રમોશન સાથે કરી તેને મેનેજરની પોસ્ટ આપેલી.

હવે ચારે ય દીકરાઓ અને એક દીકરી એક સાથે કોલેજમાં આવી જતા અમારો રોજ બરોજનો સંઘર્ષ વધતો ગયો.વડોદરામાં મેં મોટી ખાનગી સ્કુલ જ શરૂ કરીને વધતા ખર્ચને પહોંચવા માટે વધતા ખર્ચને પહોંચી વળવા મારાથી બનતો સાથ આપ્યો.રસિક પણ પોતાનો  ગિફ્ટ બિઝનેસ મારા નામે ચલાવતા રહી સાઈડ- ઇન્કમ સારી જ કરવા લાગી ગયેલા.અમારો એક દીકરો આશિત એન્જિનીયરિંગની ડીગ્રી લઇ, જમાઈ શોધવા આવેલ કોઈ એન.આર.આઈની પુત્રીને પરણી, અમને છોડી, અમેરિકા ચાલ્યો ગયો.બીજો ધીમંત અને ત્રીજો હેમંત બેઉ ડોક્ટર બન્યા અને તેમની સાથે જ સાથે મેડિકલ કોલેજમાં  ભણતી પોતાની મનગમતી ડોક્ટર  છોકરીઓને પરણી, અમારાથી જુદા થઇ, પોતપોતાના નર્સિંગ હોમ ચલાવવા લાગ્યા.ચોથો ચાર્ટર્ડ એકૌન્ટન્ટ બની દુબાઈ ચાલ્યો ગયો અને ત્યાં જ એક પંજાબી છોકરીને પરણી ગયો.કોઈ કરતા કોઈ અમારી સાથે સમ ખાવા પૂરતું પણ સાથે રહેવા નહોતા માંગતા.સમય સમય પર તેમને પુત્રો-પુત્રીઓ પણ થતા રહ્યા.પરંતુ તેમને રમાડવાનું તો દૂર રહ્યું; જોવા -મળવાનું પણ ભાગ્યે જ મળતું.પોતપોતાના માળા ભેગા થઇ ગયા બધા જ- પોતાના પરાયા બનીને.

દીકરી દિયા  પણ અમારા દુર્ભાગ્યે એક મુસ્લિમને પરણી અમને વધુને વધુ દુખી કરવા લાગી.આ છેલ્લા લગ્ને  તેમને ભગ્ન કરી દીધા.તેઓ સાવ ભાંગી ગયા,અંદરથી પૂરા અને બિલકુલ તૂટી ગયા અને એક રાતે રડતા રડતા,  સ્ટ્રોકના ભયંકર અટેક સાથે તત્ક્ષણ જ સ્વર્ગે સીધાર્યા.                                                                          

હવે મારો સંઘર્ષ શરૂ થયો. હું સ્વતંત્ર મગજની બની એકલી જ મારા આ ફ્લેટમાં રહીને મારી રીતે ભક્તિ સંગીત શીખતી રહી, મારી જાતને બિઝી રાખવા લાગી.ત્યાં તો મારા એક ડોક્ટર દીકરા હેમંતને મોટો અકસ્માત થયો અને તેના ઘૂંટણ તેમ જ કમરને સર્જરીથી ઠીક તો કરાવી શકાઈ .પણ સારી ઉત્તમ થેરાપિસ્ટને રોજ ઘરે બોલાવી જરૂરી કસરતો અને મસાજ કરાવવાની જરૂર પડી.નેન્સી નામની કોઈ વિદેશી ફિઝિયોથેરાપિસ્ટ મળી પણ ગઈ,જેની સાથે સારું થતા જ તે ઓસ્ટ્રેલિયા ભાગી ગયો અને  તેણે પોતાની પત્નીને નિરાધાર બનાવી દીધી.તે અમારી ડાહી વહુ એ નર્સિંગ હોમની માલિક બની પોતાની દીકરીને ડોક્ટરનું ભણાવવા લાગી.ભાગી ગયેલો હેમંત ત્યાં ઓસ્ટ્રેલિયામાં સમુદ્ર કિનારે પોતાની થેરાપિસ્ટ ફ્રેન્ડની સાથે સ્વિમિંગમાં ગયો હશે ત્યાં તે યોગાનુયોગ સમુદ્રમાં તણાઈ ગઈ.

એ હેમંતે દુખી થઇ ભારત પરત આવી, પોતાની પત્ની-પુત્રી સાથે પુન:સંબંધ સ્થાપિત કરવાનો બનતો પ્રયાસ કર્યો.પણ સ્વભીમાનિની પત્ની-પુત્રીએ તેને ન સ્વીકાર્યો તે ન જ સ્વીકાર્યો.બલકે તેનું હવે પોતાનું બની ગયેલું નર્સિંગ હોમ પણ પાછું ન આપ્યું.હેમંત ત્યાંથી ત્રાસી- કંટાળી બેંગ્લોર ચાલ્યો ગયો અને ત્યાંથી મુંબઈ કોઈની ભાગીદારીમાં ફરી સરસ સેટલ થઇ ગયો.એક વાર છેલ્લો પ્રયત્ન કરી જોયો પત્ની-પુત્રીને પોતાના બનાવવાનો.પણ જીદ્દી પત્ની-પુત્રીએ મચક ન આપતા તે ત્રીજી  વાર પરણ્યો -આ વખતે એક ડિવોર્સી નર્સને.

બીજો અમેરિકા ગયેલો એન્જીનિયર પુત્ર આશિત  પત્ની અને સાસુ સસરાથી અપમાનિત-અવહેલિત થઇ ત્રાસીને પોતાના બાળકો પણ ત્યાં જ છોડીને ભારત પાછો ફર્યો. કોઈ ફર્મમાં  સારી નોકરી શોધી તે એક વિધવા ક્લીગને  પરણ્યો.નવા લગ્નો કરી આવેલ આ બેઉ પુત્રોને ને ફરજ તરીકે મેં સજોડે આશીર્વાદ તો જરૂર આપ્યા;પણ મારી સ્વતંત્રતાજ  હવે મારી મૂડી કહો તો મૂડી અને વ્યાજ કહો તો વ્યાજ બની ગઈ હતી.સહુનો સંસાર સહુને મુબારક.ડોક્ટર ધીમંત દોડાદોડી કરી કરી નર્સિંગ હોમને, વેપારી પેઢી જેવું બનાવી,અંતે વધતા ટેન્શન અને કામના બોજના કારણે પોતે જ હાર્ટ અટેકથી આઈ.સી.યુ.માં દાખલ થઇ ગયો.હું તેને જોવા જરૂર ગઈ.પણ વિરક્તિ સહજ રૂપે મારો સ્વભાવ બની જવાથી તેનો સંસાર તેને મુબારક કહી-સમજી મારી આઝાદીની દુનિયામાં પાછી ફરી.દુબાઈ ગયેલ ચાર્ટર્ડ એકૌન્ટન્ટ ત્યાંની સરકારના ગુનામાં આવી જેલ ભેગો થયો તો પોતાનું કર્મ પોતા જ ભોગવવું પડે સમજી મેં તેના પત્ની અને બાળકોને આશરો આપવા ચાહ્યો;પણ તે ન તેમને મંજૂર હતું કે ન મને પણ બહુ ગમતું હતું.મુસ્લિમને પરણેલી દીકરી તો પાંચ પાંચ નમાઝ પઢવા છતાં ય એક ગોઝારા અકસ્માતમાં પોતાના પતિ  અને બાળકોને ગુમાવી બેઠી  છે તો ય તે ઘરવાપસી માટે તૈયાર નથી.’કેટલી વાર ધરમ બદલતા રહેવાનો?’ એમ કહે છે.હું પણ હવે મારો પોતા પ્રત્યેનો પ્રથમ અને અંતિમ ધર્મ પકડીને ભક્તિ સંગીતમાં અને મારા વાચનમાં તલ્લીન રહું છું.બોલો મારી આ રામ કહાની ‘બાગબાન’ જેવી ન બની શકે  ‘બે ઝબાન’ ના ટાઈટલથી ? કોઈ તો બનાવો આવી રોજબરોજની જિંદગીની મૂવી!”

મૂવી નહિ તો લાંબી વાર્તા કે નવલકથા તો જરૂર લખી શકાય એમ વિચારતા વિચારતા વાર્તાકાર વિનય કુમાર શુભદાબહેનને સાંત્વના આપતા ભારે મને પાછા ફર્યા.તેમને લાગ્યું કે દુખી મનના, ન વહેતા આંસૂઓ નથી વહેતા એ જ સારું છે;નહિ તો આંસૂના અપાર પ્રવાહમાં સાત સમુદ્રો પણ ડૂબી જઈ શકે.

(અર્ધ સત્ય કથા)                                              

(સમાપ્ત )

ટાઢું ટબુકલું …

આમ તો  હર્ષલ સ્ટુન્ટ – વિસા પર  જ આવ્યો હતો.બે વર્ષમાં ભણવાનું પૂરું થવાની તૈયારી જ હતી કે તેની અમેરિકા પરણેલી અને સિટિઝનશિપ લઇ લીધેલી  માસીએ તેની મમ્મીને ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરી  તેડાવી લીધી. માતાએ આવીને એ સમયમાં એરપોર્ટ પર જ મળી જતા ગ્રીન કાર્ડના આધાર પર પુત્ર હર્ષલ અને બીજાત્રણ પુત્રો તેમ જ પતિ માટે પણ સ્પોન્સરશિપ પેપર્સ ફાઈલ  કર્યા અને પછી તે પોતે તો પાછી ફરી.પતિને ભારતમાં સારી સરકારી નોકરી હોવાથી તેમ જ પોતે એકનો એક પુત્ર હોવાથી માતા- પિતાને છોડી વિદેશ દોડવાનો નામનો ય અભરખો  નહોતો એટલે ન એ ગયા કે ન પત્ની પણ  ફરી પાછી  અમેરિકા ગઈ.  એક પુત્ર હજી મેડિકલના છેલ્લા વર્ષમાં હોવાથી એ પણ ન જઈ શક્યો.બીજા બે પુત્રો જવાની તૈયારી કરવા લાગી ગયા.એ દરમ્યાન હર્ષલે આવી, લગ્ન કરી, પોતાની પ્રેમિકા પત્ની પ્રેરણાને સ્પોન્સર  કરી, ત્યાં તેડાવી લીધી.તેને ત્યાં શરૂમાં તો નામનું પણ ન ગમ્યું.પહેલે જ દિવસે પતિ જોબ પર ગયો અને કહ્યું કે “હું ત્રણ કલાકમાં જ લંચ કરવા આવી જઈશ, કારણ કે સારા નસીબે જોબ  દસ  મિનિટના અંતરે જ છે.” પરંતુ એ ત્રણ કલાક માટે કાંડા ઘડિયાળ તરફ તેમ જ વોલ- કલોક પર નજર દોડાવી દોડાવી તે થાકી ગઈ,કંટાળી ગઈ, ત્રાસી ગઈ; પણ તોય ત્રણ કલાક ત્રણ ત્રણ યુગ જેવા બની સ્થિર અને સ્થાયી થઇ થંભી ગયા હોય તેમ તેને ક્ષણે ક્ષણે સતત અને એકધારું પ્રતીત થતું રહ્યું. અંતે ત્રણ કલાક પૂરા થતા જ  હર્ષલ આવી ગયો અને તેની પ્રેમિકા પત્ની પ્રેરણા રડી પડી.”મારે આવા દેશમાં રહેવું જ નથી.આટલી અને આવી એકલતા તો જીવનમાં પહેલી જ વાર જોઈ -અનુભવી.ચાલો પાછા ભારત પહોંચી ત્યાં સેટલ થઇ જઈએ. આપણો  દેશ,આપણા લોકો,આપણું પોતાપણું એ બધામાં મન કેટલું ખુશખુશાલ રહે ?”

 હર્ષલે તેને શાંત કરતા સમજાવી : “શરૂ શરૂમાં એવું લાગે;પછી ફાવી જાય,ટેવાઈ જવાય.આ દેશમાં  સુશિક્ષિત અને ડીઝર્વિંગ લોકોને  જે તકો મળે છે -આગળ વધવાની એવી આપણા  દેશમાં  નથી મળતી.”

 પ્રેરણા પ્રેમી પતિના આ  સધિયારાથી કૈંક શાંત થઇ,કૈંક સમાહિત થઇ અને પોતા માટે પણ જોબ શોધતી થઇ ગઈ.એવામાં જ  હર્ષલના બે નાના ભાઈઓ વિસા મળતા આવી,હર્ષલે મોકલાવેલી ટિકિટો પર આવી  પહોંચ્યા.એક  મેડિકલ પૂરું કરી, 

એક વર્ષની રેસિડન્સી પણ પતાવીને આવ્યો હતો અને બીજો તેને મેડિકલમાં પ્રવેશ ન મળતા,બી.એસ.સી કરીને જ આવી ગયો હતો.એ બેઉને સાચવવા – સંભાળવા, પ્રેરણાએ નવો મળતો જોબ પણ ન લીધો.શનિ-રવિની રજાઓમાં તેમ જ ક્યારેક મળી જતી લોંગ વીક-એન્ડની રજાઓમાં ફરવાના સ્થળો જોવાનું પણ શરૂ કરી દીધું.આવેલ બેઉ ભાઈઓ પોતપોતાની દેવી જરૂરી એવી પરીક્ષાઓની પણ તૈયારી કરતા રહ્યા.

આવામાં અમેરિકાનો કપરો શિયાળો શરૂ થયો અને શરૂ શરૂમાં તો સ્નો જોઇને પ્રેરણા શિમલા  ન  જોયાનો અફસોસ  ભૂલી સ્નોને જોવા-માણવા લાગી.એક વાર લાંબી રજાઓમાં ત્રણેય ભાઈઓ પણ  જાડા જાડા ગોદડા જેવા સ્વેટરો- જેકેટો  પહેરી પહેરી પ્રેરણા સાથે નાયગ્રા જોવા-ફરવા નિકળી પડ્યા.હજી તો પોતાના શહેરની સીમા બહાર પણ નહોતા નીકળ્યા  ત્યાં તો એક સરોવર પાસે તેમની કાર,ઢગલાના ઢગલા વરસી   

રહેલા સ્નોમાં,  સ્કિડ થઇ ગઈ અને ચકરાવા ખાઈ, સીધી ઠંડા સરોવરમાં ગબડી પડી.મૃત્યુ નજર સામે દેખાવા લાગ્યું.નસીબે ઉપર ઉડતા એક હેલિકોપ્ટરે તેમને બચાવી લીધા અને હોસ્પિટલ પહોંચાડી નહિવત થયેલી ઈજાઓનો ઉપચાર કરી, તેમને બીજી રેન્ટલ કાર મંગાવી દઈ, તેમને ઘર ભેગા કર્યા.હર્ષલ બે અઢી વર્ષથી અહીં  રહેતો હતો એટલે મનનો મજબૂત થઇ ગયેલો હોવાથી કાર ચલાવી શક્યો.

 પરંતુ આ સ્નો-અકસ્માતના પરિણામસ્વરૂપ પ્રેરણાના    મનમાં,હૈયામાં જે એક પ્રકારનો ભય  અને ફોબિયા પ્રવેશી ગયો તે તો કાયમનો ઘર કરી ગયો.એ ફોબિયા એટલો તો અંતર્મનમાં પેસી ગયો કે આગળ જતા તેણે હર્ષલની સાથે દક્ષિણ તરફ,  ટેક્સાસમાં બેઉ માટે કોઈ સરખો મનફાવતો જોબ શોધી કાઢી,  હજારો હજારો માઈલ દૂરની કાર- જર્ની કરી તેઓ બેઉ ઓસ્ટિન શહેરમાં સેટલ થઇ ગયા.ત્યાં સુધીમાં આવેલ બેઉ ભાઈઓ માસી-માસાને ત્યાં રહી-રોકાઈ પોતાની પરીક્ષાઓ આપી દઈ સેટલ થઇ ગયા.આગળ જતા ન આવી શકેલ ચોથો ભાઈ પણ આવી પહોંચ્યો અને આ ત્રણેય ભાઈઓ આગળ જતા ત્યાં જ -નોર્થ ઇસ્ટમાં  સપરિવાર સેટલ થઇ ગયા.તેઓ સ્નો અને ઠંડીને રહેતા રહેતા ટેવાઈ ગયા.

પણ સ્નોફોબિયાથી ત્રસ્ત પ્રેરણા તો ફેમિલી ગેટ- ટુ- ગેધર માટે પણ પતિ અને બાળકો સાથે તેમની તરફ ઉનાળામાં જ જાય અથવા બને તો પોતાની તરફ સહુને બોલાવે.તેને નાનપણમાં સાંભળેલી વાર્તા યાદ આવ્યા કરે, જેમાં કોઈ ડોશી બોલ્યા કરતી:”હું કોઇથી ના  ડરું.ડરું તો બસ આએક ટાઢા  ટબુકલાથી જ  ડરું.”

(સત્ય વાર્તા )                                            

(સમાપ્ત)

રાજીપો …

અંગત મિત્રોને,રોટરી કલબના મેમ્બર્સને, પાડોશીઓને, સ્ટાફના સભ્યોને સહુ કોઈને અચરજ થયું,થોડુંક કુતુહલ પણ થયું કે રમેશભાઈ તથા તેમના પત્ની તરફથી આવું સીધું- સાદુ અને કૈંક વિચિત્ર,કૈંક અવનવા અવનવા એવા પ્રકારનું સાવ નાનું-ટૂંકુ એવું નિમંત્રણ મળ્યું. નિમંત્રણમાં સરસ મઝાના હસ્તકલાના કાગળ પર, જે રમેશભાઈના પોતાના હાથે લખેલા શબ્દોનો બ્લોક હતો, તેમાં કેવળ માત્ર આટલા જ શબ્દો હતા, “ભાઈશ્રી/બહેનશ્રી, આપ સહુને સપરિવાર મારા આયોજિત ‘આનંદોત્સવ’માં સમ્મિલિત થવા માટે હાર્દિક નિમંત્રણ છે. સાથે જણાવેલા સ્થળે અને દિવસે અવશ્ય  પધારવા કૃપા કરશોજી.” 

પ્રસંગનો,ઉજવણીના આશયનો કોઈ ઉલ્લેખ જ નહિ.

ફોનથી કોઈ કોઈએ પૂછ્યું પણ ખરું કે occasion શું છે તો હસીને કહે ‘આનંદોત્સવ’ એટલે આનંદોત્સવ. આવો,માણો અને ખુશ થાઓ.  નિર્ધારિત તારીખે-દિવસે જણાવેલા વિશાળ પાર્ટીપ્લોટમાં બધા પહોંચ્યા તો ત્યાનું ડેકોરેશન,મ્યુઝિક,સુંદર છોકરીઓ દ્વારા સર્વ થઇ  રહેલા જ્યુસ અને એપિટાઇઝર્સ ઇત્યાદિ જોઈ સહુ કોઈ  પ્રસન્ન પણ થયા અને પ્રભાવિત પણ થયા.

 રમેશભાઈના પત્ની રેખાબહેન આ ઉમરે પણ પંજાબી પોષાકમાં જાજરમાન લાગી રહ્યા હતા.

રમેશભાઈ પોતે પણ કુર્તા-ચોરણીમાં પ્રૌઢ હોવા છતાં ય જવાન લગતા હતા.મજાકમાં જયારે- ત્યારે એ સહુને કહેતા પણ ખરા ‘હું તો જવાન નહિ,નવજવાન છું અને રહેવાનો કારણ કે હસો અને હસાવો,ખાઓ અને ખવડાવો,પીઓ અને પીવડાવો,નાચો અને નચાવો…… બસ, આ મળેલી એક લાઇફને ભરપૂર એન્જોય કરો.જિંદગી છે જ એન્જોય, એન્જોય અને એન્જોય કરવા માટે.” 

તેમના હસતા પ્રફુલ્લિત ચહેરા પરથી,તેમની રમતિયાળ ચમકતી આંખોમાંથી અત્યારે પણ એ જ મેસેજ મૂક સ્વરૂપે મુખરિત થઇ રહ્યો હતો.રેખાબહેન વિષે તો સહુ જાણતા હતા કે બેઉ જોડિયા દીકરીઓનાની હતી ત્યારે રાતે દૂધ ગરમ કરતા કરતા તેઓ ભયંકર દાઝી ગયેલા,સળગી ગયેલા અને મહાવીર સ્વામીની કૃપાથી જીવતા રહી શક્યા.ચહેરા અને બે હથેળીઓને અને પગની પાનીઓને છોડી તેઓ પૂરે પૂરા દાઝી ગયેલા.એ પછી થોડા વર્ષો બાદ કેન્સર થતા તેઓ હતાશ-નિરાશ થઇ ગયેલા;પણ હિંમતવાળા મર્દ રમેશભાઈએ તેમને મૃત્યુના મુખમાંથી બચાવેલા.બંને દિકરીઓ મોટી થતા તેમના લગ્ન પણ ધામધૂમથી સંપન્ન કરેલા.

મુંબઈથી સિકન્દરાબાદ, પોતાને ત્યાં સો રૂપિયાના પગારે જયારે બનેવીએ તેડાવેલા, ત્યારે પણ રમેશભાઈ આટલા અને આવા જ આનંદી સ્વભાવના હતા.તેમના રેખાબહેન સાથે મુંબઈના કલ્યાણ પરામાં લગ્ન થયા ત્યારે સ્વમાની,સ્વાભિમાની રમેશભાઈએ કરોડાધિપતિ સસરા  પાસેથી કંઈ કરતા કંઇ જ લીધું નહિ અને સિકન્દરાબાદ આવી બનેવીને પગાર વધારી આપવા વિનંતિ કરી.બનેવીને રમેશભાઈ બિનવહેવારિક લાગ્યા અને તેમણે તેમને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ દસ દિવસના ત્રીસ રૂપિયાનો પગાર ચૂકવી છુટ્ટા કરી દીધા.સપ્લાય બિઝનેસની નેક ફાવી ગયેલ હોવાથી ત્રીસ રૂપિયાથી જ બિઝનેસમાં ઝંપલાવી આજે લાખો રૂપિયા સુધીના પોતે કરેલા વ્યાપાર- વિકાસ માટે તેઓ પોતાને ટાટા,અંબાણી  કે બિરલા, અદાણીથી ઓછા સફળ ન માનતા.નોકર જગ્ગુ ની એકની એક દીકરીના લગ્નમાં તેમણે પત્નીની સાડીઓ તેમ જ ઘરેણા પણ ભેટમાં આપી દીધેલા, કારણ કે પત્ની રેખાબહેન તે પહેરી શકે તેમ જ ન હતા. પોતાની બેઉ દિકરીઓના લગ્નમાં મોંઘા ભાવનું સોનું ખરીદતી વખતે તેમના મનમાં એક ક્ષણ માટે ય એવો ખોટો વિચાર કે પસ્તાવાની લાગણી ન જન્મી કે ત્યારે નોકરની દિકરીના લગ્નમાં આમ સોનું ન લૂટાવી દીધું હોત તો આજે રાહત રહેત.બલ્કે તેને ત્યારે દર મહીને તેના વતી પોતા પાસે બચાવી રાખેલી રકમ પણ થેલો ભરીને આપી દીધેલી.એ ‘અપૂર્વ કન્યાદાન’ તો આ લેખકની વાર્તાનો પ્લોટ બની ગયેલો.આગળ તેના દિકરી-જમાઈને   પોતાના પ્લોટ પર નાનું ઘર-કમ સીવણની દુકાન પણ બનાવડાવી દઈને ખુશ થયેલા.સહુ કોઈની ખુશીમાંજ  પોતાની ખુશી જોનારા રમેશભાઈ-રેખાબહેન એટલે જ કાયમ કાયમ ખુશમિજાજ જોવા મળતા. 

આજે આ આનંદોત્સવ પોતાના બેઉ દીકરી-જમાઈઓની   મેરેજ- એનિવર્સરી ઉજવવા માટે આયોજિત કરેલો, જેમાં દિકરીઓની ફ્રેન્ડ્સને પણ સાસરેથી માનભેર તેડાવી, આ આનંદોત્સવમાં સમ્મિલિત કરવા નિમંત્રિત કરેલી.સ્ટાફના નાનામાં નાના સભ્યને પણ માન-સન્માન સાથે  રીસીવ કરી તેમને સહુને તેમ જ પધારેલા બધા મેહમાનોને પણ સાશ્ચર્યાનંદમાં ગરકાવ કરી દીધા.

હૈદરાબાદની સ્પેશ્યાલિટી જેવું બેસાડીને પીરસાતું ચોકીનું જમણ હતું અને ટોટલ સ્ટાફને પણ -ત્યાં સુધી કે ઘરે કામ કરતી કામવાળીના પરિવારને પણ આ ચોકીના જમણમાં પ્રેમથી આગ્રહપૂર્વક જમાડી ગમતાનો ગુલાલ કરી કરી પ્રસન્નતાના પારાવારમાં તેઓ બેઉ તરતા-ડૂબતા રહ્યા.  અંતે  પધારેલા અતિથિઓ અને સ્ટાફ મેમ્બર્સને પણ  મોંઘા ભાવના વજનદાર ચાંદીના મહાવીર સ્વામીના સિક્કાઓ ભેટ આપી,હૃદય પૂર્વક તેમનો અત્યંત આભાર માની તેમને પ્રેમપૂર્વક ભેટી ભેટી ભાવભીની ભાવભીનીવિદાયવિદાય આપી.  દીકરીઓ-જમાઈઓ અને દીકરીઓની સાસરેથી આવેલી બધી બહેનપણીઓની ખુશીનો તો પાર જ ન રહ્યો- આવો મઝાનો, અનોખો, અદભુત,અભૂતપૂર્વ ‘આનંદોત્સવ’જોઇને સહુથી વધુ રાજી તો થયા રમેશભાઈ અને રેખાબહેન પોતે, જેમને સહુના રાજીપામાં જ પોતાનો રાજીપો જોવાની ટેવ પડી ગઈ છે.

(સત્ય કથા)                         

(સમાપ્ત)    

Previous Older Entries

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.