નાનો દીકરો…

ચેતન હતો તો નાનો ભાઈ પણ તેનું દિલ મોટા ભાઈ કરતા ઘણું ઘણું મોટું અને અનેક ગણું વિશાળ  હતું. મોટા ભાઈનું નામ તો વિશાલ હતું; પણ મન અતિ સાંકડું હતું. માતાને પણ કોણ જાણે કેમ પહેલા અને મોટા દીકરા પ્રત્યે વધુ અને વિશેષ પ્રેમ રહ્યા કરતો અને તે પણ એટલે સુધી કે બેઉ  ભાઈઓની કમાણી દ્વારા ચાલતી -પિતાના નામથી ચાલતી- ‘મહાવીર  ગેસ સિલેન્ડર સપ્લાય કંપની’માં પતિના વારસદાર તરીકે પોતાનું નામ જ ચાલુ રાખી, વિશાલને જ પોતાનો નોમિની,વારસદાર અને ભાગીદાર બનાવી દીધો હતો.   હકીકતમાં તો નાના ભાઈએ પોતાના ‘વિશાલ  રીયલ એસ્ટેટ અને બિલ્ડર્સ’ના પોતાના કામકાજને મોટા  ભાઈનું નામ આપી,તેમને માન -સન્માન આપી,અડધી ભાગીદારી સુદ્ધા આપી, એક મોટો અધુનાતમ બંગલો બનાવી, તેને નામ પણ હોંસે હોંસે ‘વિશાલ ભવન’ આપી,ભવ્યાતિભવ્ય’ ‘ગૃહ  -પ્રવેશ સમારંભ’  યોજી,નાની વયે મોટી પ્રગતિ કરી દેખાડી સમાજમાં સહુ કોઈને સાશ્ચર્યાનંદમાં મૂકી દીધા હતા.

મોટા ભાઈના લગ્ન ,રિસેપ્શન,હનીમૂન ઈત્યાદિમાં પણ તેણે દિલ ખોલીને,મન મોકળુ કરીને,કો થળીનું મોઢું બેઉ બાજુથી ખુલ્લું મૂકીને ધૂમ પૈસો, પાણીની જેમ ખર્ચ્યો હતો.જૈન હોવા છતાં સાથે ભણેલી ખ્રિસ્તી છોકરી સાથે કોર્ટ- મેરેજ કરવાના કારણે તેનું નામ -માન, માતા તેમ જ મોટા ભાઈ અને ભાભીની નજરમાં   નીચું પડી ગયું અને સામે -સાથે રહી દુખી રહેવા કે કરવા કરતા, ચેતન પત્ની પેગી સાથે પોતે જ બાંધેલા એક ફ્લેટમાં ચાલી જઈ ત્યાં  રહેવા લાગી ગયો.મોટા ભાઈ ભાભીને તો તેણે લગ્નની ભેટ તરીકે નવી જ નીકળેલી હોન્ડા કાર ભેટ આપી જ હતી; હવે માતા માટે પણ શોફર સાથેની એક વધારાની કાર, માતાની શષ્ટિપૂર્તિના શાનદાર રીતે ઉજવાયેલા મહોત્સવમાં ભેટ આપી.

મોટાભાઈને ત્યાં પુત્ર જન્મ્યો ત્યારે ખુશ ખુશ થઇ તેણે પેંડા વહેંચાવડાવી માને તેમ જ ભાઈ-ભાભીને પ્રસન્ન પ્રસન્ન કરી દીધા.આવવા- જવાનો,મળતા રહેવાનો સંબંધ તો બેઉ ભાઈઓના પરિવારમાં ચાલતો જ રહ્યો; પણ મનની અંદર તો જે ગાંઠ પડી ગઈ તે માતા અને મોટા ભાઈ-ભાભીના મનમાંથી દૂર ન થઇ તે ન જ થઇ.નસીબ કહો કે જોગાનુજોગ કહો નાના ભાઈને ત્યાં પારણું ન બંધાયું તે ન જ બંધાયું અને મોટા ભાઈને ત્યાં એક પછી એક એમ ત્રણ બાળકો થયા અને બધા કલદાર દીકરા જ દીકરા!

નાના ભાઈ ચેતને, છેલ્લે જન્મેલા ભાઈના દીકરાને તે મોટો થાય,થોડો  સમજણો થાય તે પહેલા જ ખોળે લેવાની ઈચ્છા પ્રગટ કરી તો મોટાભાઈએ -ભાભીએ અને તેમનાથી પણ વધારે તો માતાએ દેકારો મચાવી દેતા કહ્યું “પોતે તો વિધર્મીને પરણી વિધર્મી થઇ ગયો; હવે મહાવીર દાદાના પોતરાને પણ ખોળે લઇ તેને પણ વિધર્મી બનાવવાનો કારસો ઘડતા લાજ-શરમ નથી આવતી?”

આવું આવું સાંભળી ચેતન-પેગીને પારાવાર દુખ થયું. ખાસ કરીને પેગીને કેમ કે ચેતનને પરણ્યા પહેલેથી તેણે ચર્ચ જવાનું, માંસ-મચ્છી ખાવાનું,દારૂ પીવાનું સદંતર છોડી દીધું હતું અને જૈન ધર્મ અપનાવી,જૈન સ્તવનો શીખવાનું,’ઓમ નમો અરિ હન્તાણમ’નો પાઠ કરવાનું, પરિક્રમા કરવાનું, ચોવિયાર વાળી લેવાનું બધું જ,જૈન ધર્મનીપરિપાટીનું શીખી લીધેલું. “પોતે ધર્મ પરિવર્તન કરી શકી અને આ જુનવાણી વડીલો પોતાનું મન પરિવર્તન સુદ્ધા ન કરી શકે?”

ચેતન તેને સમજાવતો રહેતો કે પોતાને બદલવું પોતાના હાથમાં છે; બીજાઓને બદલવાનું તો આપણા  હાથમાં નથી, માટે તેનો શોક ના કરવો.પેગી પણ સમજદાર હોવાથી આ તર્ક સમજી લેતી,સ્વીકારી લેતી.

પરંતુ જયારે મોટાભાઈએ અને ભાભીએ પક્ષઘાતગ્રસ્ત, વૃદ્ધ અને અશક્ત થતી રહેલી માતાને વૃદ્ધાશ્રમમાં દાખલ કરવાની તૈયારી કરી, ત્યારે નાનો ભાઈ ચેતન રડી પડ્યો,પેગી ગળગળી થઇ ગઈ અને માતાને પોતાના ફ્લેટમાં લાવી, તેમના માટે રાત દિવસની નર્સોની સગવડ- સુવિધા કરી દઈ,વ્હીલચેર અને વોકર સાથે, તેમને સતત સાચવતા રહી,તેમને ગમતું-ભાવતું જમાડતા રહી, તેમની  તન મન અને ધનથી સેવા કરવાનું પુણ્ય કાર્ય શરૂ કરી દીધું, ત્યારે તો માતા ગદ ગદ કંઠે હર્ષાશ્રુ વહાવતા બોલી:”મારા નાનકા,તું તો નાનો છે પણ રાઈનો દાણો છે. તારી વહુ પેગી તો પૈગમ્બર જેવી છે. મારે હવે તમને બેઉને જ મારી વારસદાર બનાવી આપણી ગેસ- સિલેન્ડર  કંપની દઈ દેવી છે.” તો નાનો ભાઈ ચેતન બોલી ઊઠ્યો:” ના,ના, જે પહેલા આપી દીધું તે આપી દીધું, હવે પાછું ન લેવાય. પાછા એ લોકો કહેશે કે “થૂંકેલું ચાટો છો.”

નાના દીકરાનો આવો પ્રતિભાવ જોઈ પ્રસન્ન- પ્રસન્ન માતાએ, મનપૂર્વક, જે આશીર્વાદ, મૌન વાણીથી અને અશ્રુભીની હૃદય- લેખિનીથી આપ્યા,તેના ફળ સ્વરૂપે પેગીને પુત્ર-પુત્રીનું જોડકું જન્મ્યું.ચેતન -પેગીની પ્રસન્નતાનો કોઈ પાર ન રહ્યો. જો કે મોટાભાઈ ભાભી તો તેમના બળતણિયા સ્વભાવ પ્રમાણે બળતા જ રહ્યા,જલતા જ રહ્યા.વૃદ્ધ વિધવા માતાને ત્યરે કોણ જાણે કેમ બહુ જુનું જાણીતું ગાયન યાદ આવી ગયું,’જલને વાલે જલા કરે’.

(સમાપ્ત)    

ધરમ- નિયમ…

નામ તો હતું  શિવરામનારાયણ,પણ છેક ભારતથી અમેરિકા આવી, હરિ-ટેમ્પલમાં શાસ્ત્રીય રીતે પૂજા-પાઠ,આરતી તેમ જ તહેવારો અનુસાર ભગવાનના વસ્ત્રો બદલવા વી.કાર્યો બહુ નિયમપૂર્વક કરતા હોવાથી, તેમને સહુ કોઈ આદરપૂર્વક શાસ્ત્રીજી જ કહેતા. તેઓ ધર્મ-નિયમના અતિ ચુસ્ત હતા.”મારો ધરમ-નિયમ એટલે મારો ધરમ-નિયમ.  તેમાં કોઈ બાંધછોડ કરું જ નહિ.” તેઓ  મંદિરમાં પોતાનું પોતે જાતે રાંધીને જ ખાય, કોઈનું લાવેલું, મોકલેલું ભૂલથી પણ ન ખાય એટલે ન જ ખાય.

માનપૂર્વક આભાર માની: “મારો ધરમ-નિયમ એટલે મારો ધરમ નિયમ. તેમાં કોઈ ફેર નો પડે.” એમ કહી બે હાથ જોડી “હરિ-હરિ ” બોલે. કોઈને ત્યાં સત્યનારાયણની કથા વાંચવા જાય તો પ્રસાદ માથે ચડાવે પણ મોમાં ન મૂકે કે ન ચા કે દૂધ પણ પીએ.તેમના મનમાં એમ જ થયા કરે કે “આ બધા અમેરિકામાં રહેતા આ જ વાસણોમાં નોન-વેજ પણ ક્યારેક રાંધતા હોય તો કોને ખબર ? 

દૂધના ગ્લાસમાં દારૂ પણ પીતા હોય તો નવાઈ નહિ. અને તેમ ન થતું હોય તો ય,  ઘર તો સાવ અભડાયેલું જ કહેવાય. દૂધ કે પ્રસાદ આવા ઘરનો કેમ સ્વીકારાય?”                                               

અમદાવાદથી અમેરિકા આવવા રવાના થાય તો પ્લેનમાં અપાતું  કાંઈ કરતા કાંઈ લે કે ખાય નહિ.ચા-કોફી પણ નહિ.અરે ત્યાં સુધી કે પાણી પણ તેઓ વર્જ્ય જ માને અને ભૂખ્યા-તરસ્યા જ ચોવીસ કલાકની મુસાફરી કરે. મનમાં “હરિ હરિ”સ્મરણ કરતા રહે અને મન-શરીર થાકે અને આંખ ભારે  થઇ જાય તો ઝપકી મારી લે, થોડીક ઊંઘ ખેંચી કાઢે અને સામેના  ટી.વી.પર જયારે પ્લેન કેટલા અંતરે છે, કેટલી  વારમાં પહોંચશે વી.ની માહિતી નકશામાં જોયા કરે. બીજું કાંઈ આવે તો આંખ બંધ કરી દે. મંદિર પહોંચી,નાહી -ધોઈ, કોઈ ભક્તે લાવી રાખેલ ફળ ખાઈ, જાતે રાંધવા મંડી પડે. ભાખરી –  દૂધ ખાઈ લે, કે કેળાનું શાક બનાવી તેની સાથે, ભાખરી ખાઈ લે. પ્લેનમાં હોસ્ટેસ ફ્રુટ આપવાની ઈચ્છા દર્શાવે તો ય ના જ પાડે. જે હાથે દારૂના પીણા કે નોનવેજ પીરસાતું હોય તે હાથે ફ્રુટ અપાય તો તે તેમને માન્ય નહિ એટલે નહિ જ. તેમના પત્ની અને બાળકોને અમેરિકા આવવાનો વિઝા હજી મળ્યો નહોતો, એટલે પોતે અને પોતાના હરિ જ તેમનો સંપૂર્ણ સંસાર.

સમય-સમય,પર -ખાસ કરીને,સાંજની આરતી- ટાણે, થોડા ભક્તો આવે તો તેમની સાથે થોડી ઔપચારિક વાત-ચીત થાય એટલો જ તેમનો લૌકિક વહેવાર.                                                       

બાકી તો તેમને ગીતા કંઠસ્થ, વિષ્ણુ સહસ્રનામ મોઢે, ‘તુલસી- રામાયણ’ની કેટલીય ચોપાઈઓ જીહ્વાગ્ર પર, ભજનો તો સેંકડો, સૂતા-જાગતા, હરતા-ફરતા ગાયા જ કરે.  દરરોજ વહેલી સવારે નાહી-ધોઈ  મન્દિરની બહાર આવી, દરવાજો પગથી બંધ થતો રોકી, જો સૂર્ય ઊગ્યો હોય તો ય અથવા ન ઊગ્યો હોય તો ય તે દિશામાં નમસ્કાર કરે, “ઓમ  ભૂર્ભ્વ:સ્વ:નો” શ્લોક બોલે,”કરાગ્રે વસતે લક્ષ્મી” એ શ્લોક પણ હથેળીઓ  ખોલીને  બોલે અને પછી મંદિરમાં પાછા ફરી, ભગવાનની વિધિવત પૂજા શરુ કરે અને તત્પશ્ચાત જ પોતાની ચા બનાવે અને રાતે બનાવેલી ભાખરી સાથે, આદત પ્રમાણે ચા-નાસ્તો કરી લે. એક વાર સંયોગે મંદિરની ચાવી પણ અંદર જ રહી ગયેલી અને પગથી દરવાજો બંધ થતો રોકેલો, તે પગ ખાલી ચઢતા, ધ્રસ્કી જતા, ધડામ કરતો, બંધ થઇ ગયો. અને તેઓ અવાક થઇ ગયા,ગભરાઈ ગયા,મૂંઝાઈ ગયા.  ભર- શિયાળાનો ઠંડોગાર, સ્નોવાળો દિવસ અને ચાવી રહી ગઈ અંદર. સાંજે આરતી સમયે  કોઈ કાર્યકર્તા આવે ત્યારે જ હવે તો મંદિર ખુલે. ટાઢ તો હાડ થીજવી નાખે એવી,શરીરને પગથી માથા સુધી ધ્રુજાવી દે તેવી!                            

આજુબાજુમાં કોઈ ભારતીય તો સોગન ખાવા પૂરતું ય કોઈ કરતા કોઈ નહિ. નજીકમાં જે થોડાક ઘર હતા, તેમાં ય રહેનાર અમેરિકનો તો  જોબ પર જ ગયેલા હોય.પરંતુ સદભાગ્યે એક ઘરમાં રહેતા  વયોવૃદ્ધ પતિ-પત્નીએ, શાસ્ત્રીજીને મંદિરની બહાર ધ્રુજતા-કાંપતા જોયા કે  તરત જેકેટ -જોડા-હેટ પહેરીને  અને એક વધારાની જોડી સાથે લઈને, એ પતિ દોડાદોડ આવ્યો અને પત્ની દૂરથી, દ્વારે ઊભી રહી જોતી રહી કે શાસ્ત્રીજીને લઈને તેનો પતિ તરત ઘરમાં પાછો આવે છે કે નહિ? પરંતુ શાસ્ત્રીજી તો “ના-ના”  જ કરતા રહ્યા અને તે ભલો અમેરિકન વૃદ્ધ, તેમને હાથ પકડી ઝડપથી જેકેટ,જોડા- હેટ પહેરાવી પોતાને ત્યાં લઇ આવ્યો. ધ્રુજતા શાસ્ત્રીજી માટે વધારાનું પોર્ટેબલ હીટર સ્ટાર્ટ કરી, તેમને પૂરતી ગરમી આપી-પહોંચાડી,શાંત- સ્થિર કર્યા.તેમને ચા-કોફી-દૂધ માટે પૂછતા

 તેમણે ઘસીને ડોકું  હલાવી ના પાડી, ત્યારે એ ભલા ભોળા પતિ-પત્નીએ, તેમને મોટું એવું પાકેલું કેળુ આપ્યું અને તેમના ઇશારાથી સમજી પેપર કપમાં દૂધ ગરમ કરીને આપ્યું.

હવે શાસ્ત્રીજીના પ્રાણમાં પ્રાણ આવ્યા અને પોતા કરતા ય આ વિધર્મી દંપતિને, સાચો માનવધર્મ દર્શાવતા જોઈ તેમની આંખો ખુલી પણ ગઈ અને અશ્રુ -વાણીમાં આભાર પણ વ્યક્ત કરવા લાગી ગઈ. તેમણે પોતાની સારી યાદદાશ્તના આધારે ફોન કરી, એક નિવૃત્ત થયેલ ટ્રસ્ટીને, પોતાની આખી આપવીતી, વિગતે સમજાવી, તાબડતોબ, વધારાની ચાવી લઇને, આવવા માટે વિનંતિ કરી.એ ભાઈ  આવતા જ, તેમની સાથે મંદિરે જતા-પહોંચતા પહેલા, શાસ્ત્રીજીએ આવડતો હતો એ ‘થેંક્સ’ શબ્દ- પ્રયોગ, ભીની આંખે અને ભાવભીના સ્વરે,થોથવાતા થોથવાતા, ભરેલા, ભાવે ઉભરેલા  હૈયે કર્યો અને મનમાં કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી લીધું કે પોતાના ધરમ નિયમ કરતા આ વિધર્મી દંપતિનો માનવધર્મનો નિયમ ધરમ શત પ્રતિશત ઘણો ઘણો આગળ છે. તેમનું હૈયું અને મસ્તક તો ઝુકી જ ગયું આ મહા માનવ ધર્મના વૈશ્વિક નિયમ-ધરમની સામે.

(સમાપ્ત)     

તૃપ્તિ…

તૃપ્તિ સ્વભાવે પ્રેમાળ, દેખાવે સુંદર,અને સહુ સાથેના વ્યવહારમાં અતિ માયાળુ હતી.તે છ છ બહેનો માં સહુથી નાની હતી; પણ તે મોટી બહેનોનું, માની જેમ ધ્યાન રાખતી. તેના જન્મ પછી તરતમાં જ તેની માતા, હજી પણ, આટલી લાંબી વાર જોયા પછી યે , પુત્ર ન જન્મતા, નિરાશ અને દુ:ખી થઇ, અંદર ને અંદર સોસવાઈ સૂવાવડમાં ને સૂવાવડમાં  જ  ગુજરી ગઈ. પિતા સમજુ હતા અને ઘરમાં તો તેમના વિધવા બહેન ધ્યાન રાખવા માટે, ઘરકામમાં મદદ કરવા માટે હતા  જ હતા, તેથી તે જમાનામાં,તો સ્મશાનમાં જ બીજા લગ્નની વાતચીત શરૂ થઇ જતી; પણ તોય તેમણે બીજા લગ્ન ન કર્યા  તે ન જ કર્યા.  દીકરીઓ તો વ્હાલનો દરિયો છે અને દીકરીઓએ  પણ દીવા થાય  તે તેમનો અનુભવ હતો, અને તેમાં ય  આ છેલ્લી નાનકી તૃપ્તિથી  તો તેમને પારાવાર સંતોષ હતો. નાની હતી પણ દોડી-દોડી જે કામ સોંપ્યું હોય તે હસતા મોઢે  કરે અને પાછી ઉપરથી પૂછે કે “હવે શું કરું?” તેનું સ્કુલનું લેસન તો તે છેલ્લા રમત-ગમતના પીરિયડમાં  જ કરી નાખતી અને ઘરે આવતા જ ઘરકામમાં હોંસે -હોંસે  મદદ કરવા મંડી પડતી.તેની પ્રકૃતિમાં ભારોભાર સહજ સ્વાભાવિક તૃપ્તિ જ તૃપ્તિ હતી.  

પછી એક બહેનના લગ્ન પણ સમય આવ્યે, સરળતાથી થતા ગયા અને પિતાની આર્થિક સ્થિતિ ઠીક જ હતી, કારણકે જ્યાં તેઓ નોકરી કરતા હતા, તે શેઠ તેમની પ્રમાણિકતા અને પરિશ્રમ જોઈ, તેમને સારો પગાર આપતા અને દિવાળીએ બે પગાર બોનસ તરીકે પણ આપતા, તેથી લગ્નના ખર્ચાઓને તેઓ પહોંચી વળી શકતા.પત્નીએ પણ કરકસરથી ઘર ચલાવતા રહી, સારી એવી બચત કરેલી જ હતી. દીકરીઓ પણ સીધી-સદી ,ઓછી ખર્ચાળ,અને બહુ જ સમજદાર હતી. તેમાંય તૃપ્તિ તો સહુથી એક વેંત વિશેષ ચડિયાતી હતી. તેને બહુ જ શોખ હતો ટ્યુશન કરી કરી, નાના-નાના બાળકોને ભણાવવાનો અને જે થોડી-ઘણી વધારાની આવક થાય  તે પોતાની મોટી બહેનોના સંતાનોને અવારનવાર,પ્રસંગોપાત  અથવા એમ જ આપતી રહી, ખુશ રહ્યા કરતી. થોડા રૂપિયા પોતે બચાવતી પણ ખરી.

તે ભણતા-ભણતા જ ટ્યુશનો કરતી રહેતી. ધીરે-ધીરે તેણે બી.એ.સાયકોલોજી  સાથે પૂરું કર્યું અને તે પછી તે જ વિષયમાં એમ.એ. પણ કરી લીધું. બહેનોમાં તે સહુથી વધુ ભણી શકી અને લગ્ન માટે પિતા કે ફોઈબા આગ્રહ કરે, તો હજી તો મારે પી-એચ.ડી.પણ કરવું છે, કહી લગ્ન ઠેલ્યે  જતી હતી.તેને પોતાને પોતાના એક નિજી શારીરિક પ્રોબ્લમની, હોર્મોન્સના વિચિત્ર પ્રોબ્લ્મની જાણ હતી, જે તે કોઈ કરતા કોઈને,  જણાવવા નહોતી માંગતી. તે માસિક ધર્મમાં બેસતી જ નહિ. તેથી તેને લગ્ન માટેનું આકર્ષણ પણ નહિવત  જ હતું.તેની ઉમર વધતી જતી હતી અને હવે તો તે લગભગ ત્રીસની થવા આવી હતી, થી તેના  પિતા અને ફોઈબા તેના માટે, બીજવરની  જ  શોધ  કરી રહ્યા હતા. તે જુના જમાનામાં ત્રીસ-બત્રીસ વર્ષનો કોણ કુંવારો તેની રાહ જોઈ બેઠો હોય? તે તો પરણવા જ નહોતી ઇચ્છતી અને તેણે હવે હિમત કરી પોતાની શારીરિક હોર્મોનની તકલીફની વાત પણ કહી જ દીધી.પરંતુ તોય પિતા અને ફોઈબા તેને કુંવારી જ કુંવારી રાખી મૂકવા તૈયાર ન હતા, તેથી નસીબજોગે એક અમેરિકાથી પોતાની  મા  વગરની થઇ ગયેલી દીકરીઓના ઉછેર માટે અને પોતાની પણ બહુ ઉમર ન થઇ હોવાથી કમ્પની માટે, યોગ્ય પાત્ર શોધવા આવ્યો હતો. તેનું નામ હતું હરીશ।. બહુ જ સીધોઅને ભલો માણસ હતો. હરીશનો દેખાવ પણ પ્રભાવશાળી હતો, એટલો મોટો દેખાતો ય નહોતો, અને કોણ જાણે કેમ તૃપ્તિને તે ક્લિક થઇ ગયો અને હરીશને પણ પરણતા પહેલા, સ્પષ્ટ વાત કરી દીધી કે  પોતે કદિ  માતા થવાની જ નથી.તેથી તો હરીશ વધુ પ્રસન્ન થયો કે પોતાની બન્ને દીકરીઓને આ તૃપ્તિ, સગી માના કરતા પણ વિશેષ પ્રેમ અને ધ્યાનથી મોટી કરશે.
તાત્કાલિક આર્યસમાજી પદ્ધતિથી હરીશ-તૃપ્તિના લગ્ન થયા અને એ દિવસોમાં તે સંભવ હતું તેથી હરીશ, પોતાની સાથે જ, તૃપ્તિને અમેરિકા લઇ જઈ શક્યો. પોતાની બંને દીકરીઓને તે પોતાની બહેનને ત્યાં મૂકીને આવેલો. પ્લેનમાં પહેલી જ વાર બેસી,ત્યાં અમેરિકાના જે.એફ.કે. એરપોર્ટ પહોંચાતા જ,તે  છક્ક રહી ગઈ.  . ત્યાંની ચોક્ખાઈ જોઈ,અદ્ભુત વ્યવસ્થા નિહાળી તે ચકિત અને પ્રભાવિત થઇ ગઈ.
બહાર નીકળતા જ પોતાની નણંદને મળી, તેણે તેમને પ્રણામ કર્યા અને બેઉ દીકરીઓને વ્હાલથી ચૂમી લઇ,ગળે ભેટી,તેમના નામો પહેલેથી હરીશ પાસેથી સાંભળી-જાણી લીધેલા હોવાથી તેમના નામ લઇ લઇ,”કેમછે, બેટા સોનિયા ? કેમ છે,બેટા નેન્સી ?” તેમ સહજ સ્વાભાવિક સ્વરૂપે મનથી
 પ્રેમ વરસાવતા પૂછ્યું.નાની દીકરી નેન્સી તો,પહેલેથી  ફોઈબાએ કહી રાખેલું એટલે અને તૃપ્તિનો  લાગણીભર્યો   સહજ-સ્વાભાવિક સ્નેહ જોઈ “મમ્મી મમ્મી “એમ હોંસથી બોલી ઊઠી. પરંતુ મોટી દીકરી સોનિયા તો મોં ચડાવી “હેલો” એટલું જ બોલી. બેચાર દિવસમાં તો તેણે અમરિકાના સાધનો વાપરવાનું સમજી-શીખી લીધું અને બેઉ દીકરીઓને પ્રેમથી “બેટા,નેન્સી,બેટા સોનિયા”એમ હરખાઈ-હરખાઈ બોલતી રહેતી.

 નાની  નેન્સી તો મમ્મી -મમ્મી કહેતી થઇ ગઈ;પણ પપ્પા હરીશના અને ફોઈબાના કહેવા છતાય સોનિયા આ નવી મમ્મી ને ‘મમ્મી’ કહેવા કોઈ રીતે તૈયાર ન થઇ તે ન જ થઇ. ગુજરાતી આવડતું હતું, તોય અમેરિકન સ્ટાઈલથી અંગ્રેજીમાં જ મિતાક્ષરી પદ્ધતિ અપનાવી પરાણે  જરૂર પૂરતું જ ‘ યસ,નો, યા-યા.ઓ.કે ‘  એવું અને એટલું જ બોલે.ફોઈબા તો પોતાને ઘેર ચાલ્યા ગયા અને પતિ હરીશ પોતાના જોબ પર વહેલો-વહેલો સવારના સાત વાગ્યામાં નીકળી જાય,દીકરીઓ બસ આવતાજ સ્કુલે રવાના થાય અને બધાને વહેલી ઊઠી લંચ તૈયાર કરી સાથે આપી જ દે તૃપ્તિ. અને તે પછી પોતે  નાહી -ધોઈ તૈયાર થઇ,પૂજા-પાઠ કરી, પતિએ કરી આપેલી વ્યવાસ્થાનુસાર, કાર-ડ્રાઈવિંગ શીખવા ચાલી જાય અને ત્યાંથી પાછી આવી પોતાનું લંચ ખાઈ-પી સાંજના રસોઈ-પાણી શરૂ કરી દે. કાર આવડી ગઈ અને લાયસન્સ મળી જતા જ દર ત્રીજે દિવસે ગ્રોસરી  લેવા  જાય, અઠવાડિયે એક વાર ઇન્ડીયન ગ્રોસરી લેવા જાય અને શનિ-રવિએ પતિ સાથે, વીકલી લોન્ડ્રી,ઘરની સાફ-સફાઈ,બાથરૂમની ક્લીનિંગ વી.  કરવા મંડી પડે. ધીરે-ધીરે તેને એક સ્કુલમાં ટીચરનો જોબ પણ મળી ગયો.
તે રોજ બેઉ દીકરીઓને હોમવર્ક કરાવે,પ્રેમથી વાર્તાઓ કહે; પણ મોટી દીકરી ધરાહાર તેને મમ્મી કહેવા રાજી ન થઇ તે ન જ થઇ. તે અગિયાર વર્ષની હતી અને પોતાની મમ્મીને ઠેકાણે આવેલી તૃપ્તિને તે ન તો મમ્મી માનવા તૈયાર હતી કે ન કહેવા. હરીશે બહુ સમજણપૂર્વક પોતાની પ્રથમ પત્નીનો ફોટો પણ ઘરમાં ક્યાંય રહેવા દીધો ન હતો, તેમ જ તેની યાદગાર જેવી કોઈ તેની ચીજ પણ ઘરમાં રહેવા દીધી ન હતી. તૃપ્તિ ને બહુ ઈચ્છા હોવા છતાંય હરીશે તેનો ફોટો સુદ્ધા પણ ન બતાવ્યો તે ન જ બતાવ્યો.
પતિ હરીશની સિગારેટ પીવાની આદત તૃપ્તિએ સમજાવી-બુઝાવી છોડાવી.તેને ખબર હતી કે હરીશની પત્ની કેન્સરથી જ મરી હતી.તે સમજાવતી કે પેસીવ સ્મોકિંગથી પણ કેન્સર થાય અને પુત્રીઓને તેની અસરથી બચાવવા તેણે તે ખોટી નકામી આદત છોડવી જ જોઈએ. ડ્રિન્ક્સ પણ પાર્ટીઓમાં કે ક્યારેક જ પીવા જોઈએ, તેમ પણ તે હરીશને પ્રેમથી સમજાવતી અને હરીશ તેની  સદભાવનાપૂર્ણ  લાગણીને માન  આપી તૃપ્તિનું કહ્યું માનતો પણ  થઇ ગયો.
સોનિયા-નેન્સીને સારા સંસ્કારો મળે તે માટે તે દિલથી પ્રયાસ કરતી રહેતી.દરરોજ માતાજીની પૂજા-પ્રાર્થના અને આરતી કરીને  જ રાતે જમવાનો તેણે નિયમ  બનાવી દી ધો.સોનિયા મને-કમને તેમ કરતી તો ખરી-પિતાના ડરથી; પણ તેને આ નવી  માતા  માટે ન પ્રેમ હતો કે ન માન હતું.તેમ કરતા કરતા બેઉ દીકરીઓ મોટી થતી ગઈ અને સોનિયાની સ્વીટસિક્સટીન ઉજવવાનો મોટો ધામધૂમવાળો  ખુશીનો પ્રસંગ પણ નજીક આવી ગયો.

તે હવે ડ્રાઈવિંગ પણ કરવા લાગી ગઈ હતી અને તેને  તેના સોળમા જન્મદિવસે નવી કાર પણ સરપ્રાઈઝ ગિફટ તરીકે આપવાની પૂરી તૈયારી  સુદ્ધા  કરી લેવામાં આવી હતી. તેની સ્વીટસિક્સટીન પાર્ટી ન્યુયોર્કની ભવ્ય હોટલમાં ગોઠવવામાં આવેલી અને તેમાં ફૈબા-ફુઆના પરિવાર ઉપરાંત હરીશ-તૃપ્તિના મિત્રો,સોનિયા-નેન્સીના મિત્રો વી. મળી લગભગ  સો જેટલા મહેમાનો પણ આવેલા.સોનિયાના નામ અને ફોટા સાથેની કેક પણ મીણબત્તીઓ વચ્ચે શોભી રહી હતી.સોનિયાએ કેક કાપી, પહેલા પિતાને,પછી નેન્સીને અને છેલ્લે તૃપ્તિને ચખાડી અને આ ત્રણેય વારાફરતી તેને ચખાડવા લાગ્યા.

ફોટા-વિડીઓ  લેવાઈ  રહ્યા હતા અને તે પછી એપીટાઇઝર પીરસાયા. તે બાદ સોનિયાએ આભારના બે શબ્દો કહ્યા,તેની નાની બહેને મોટી બહેનની પ્રશસ્તિ કરી,તેની ખાસ બહેનપણીઓ અને બોયફ્રેન્ડોએ પણ કોન્ગ્રેચ્યુલેશનના બે શબ્દો કહ્યા અને છેલ્લે પિતા હરીશે અને માતા તૃપ્તિએ સોનિયાના પેટ ભરીને વખાણ કર્યા.તે પછીનું જમવાનું  ડિનર પણ સરસ અને સ્વાદિષ્ટ હતું. અંતે સોનિયા પોતાની નાની બહેન નેન્સીને અને બીજી બે-ત્રણ બહેનપણીઓને લઇ, પોતાના ઘર સુધી, શોખથી ડ્રાઈવ કરવા, અને થોડું  ચકકર મારવા નીકળી પડી. હરીશ અને  તૃપ્તિ પોતાની કારમાં ઘેર ગયા.

પણ હજી ઘેર પહોંચ્યા-ન પહોંચ્યા કે બે-પાંચ મિનિટમાં જ પોલીસનો અને હોસ્પિટલનો ફોન આવ્યો કે સોનિયાથી કારનો અકસ્માત થઇ ગયો છે અને બીજા સહુને તો નહિવત જ ઈજા થઇ છે ; પણ સોનિયાને હાથે- પગે,   માથે-મોઢે, સારું એવું વાગ્યું છે. દોડીને બન્ને હોસ્પિટલ પહોંચ્યા અને જાણ્યું કે કોઈ  ડ્રન્કન –
ડ્રાઈવરથી આ અકસ્માત થઇ ગયેલો છે;  અને તે તો પોલીસ-સ્ટેશનમાં છે. પણ સોનિયાની હાલત જોઈ  હરીશ-તૃપ્તિ રડી પડ્યા. હરીશને તો પોતાના મોટા પ્રોજેક્ટના કારણે લાંબી  રજા મળે તેમ ન હોવાથી, તૃપ્તિએ પોતાની સ્કુલમાંથી  કપાતા પગારે લાંબી રજા લઇ લીધી અને સવાર-સાંજ-રાત હોસ્પિટલના આંટા માર્યા કરતી. સોનિયાને હોસ્પિટલનું જમવાનું તો જરા એટલે જરાય ભાવે તેવું ન હોવાથી, તૃપ્તિ જ તેના માટે ફરતું-ફરતું, તેને ભાવે તેવું,  બનાવી લઇ જતી અને પોતાના હાથે પ્રેમથી જમાડતી.પૂરા એક મહિના બાદ તેના ફ્રેકચરનાં પ્લાસ્ટર છૂટ્યા  અને મોં -માથાના ઘા રૂઝાયા. જયારે સોનિયાને ઘેર લાવ્યા, ત્યારે સહુથી પ્રથમ તેને ઘર-મંદિરમાં લઇ જઈ, નેન્સીની બાજુમાં સાચવીને બેસાડી,પોતે અને હરીશે, પણ માતાજીની સમક્ષ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પ્રાર્થના ગાઈ:

 “રિદ્ધિ દે,સિદ્ધિ દે,અષ્ટ નવનિધિ દે; વંશમે વૃદ્ધિ દે બાક્બાની !

 હૃદયમેં જ્ઞાન દે, ચિત્તમે  ધ્યાન દે,અભય વરદાન દે શંભુરાની!                                        

  દુ:ખકો દૂર કર, સુખ ભરપૂર કર, આશ સંપૂર્ણ કર દાસ જાની,                                                      

સજન સો હિત દે, કુટુમ્બ્સો પ્રીત દે, જગમેં જીત દે, હે ભવાની”

અને બંધ આંખે આ પ્રાર્થના-સ્તુતિ કરીને, જ્યાં તૃપ્તિએ આંખ ખોલી તો જોયું કે સોનિયા તેના ચરણોમાં પડી પડી, રડતા અને ગળગળા સ્વરે કહી રહી હતી:
 “મને માફ કરો, મમ્મી ! મને માફ કરો મમ્મી! હવેથી મને, તમને મમ્મી કહેવાની, દિલથી પરમિશન આપો, મારી વ્હાલી મમ્મી!  આપશોને મને પરમિશન?”આ સાંભળી, પહેલી વાર, તૃપ્તિએ  જીવનની સાચી-ઊંડી-અંતરની સંતૃપ્તિનો અનોખો,અનેરો,અનન્ય તેમ જ  અદ્ભુત અનુભવ કર્યો.માતાજીની છબી આશીર્વાદ વરસાવી રહી હતી તૃપ્તિએ તૃપ્ત પુત્રી,સંતુષ્ટ પત્ની અને સંતૃપ્ત મમ્મી હોવાનો સાર્થક, ધન્ય અનુભવ કર્યો.

બદલો…

દ્વારકાદાસભાઈને પોતાના સદગત ભાઈ ભાભીના પુત્રને સ્કુલમાં દાખલકરતી વખતે તેના પિતા તરીકે પોતાનું નામ લખાવતી વેળાએ, પ્રસન્નતા જ પ્રસન્નતાનો અનુભવ થયો.એક ક્ષણાર્ધ માટે  પણ કોઈ બીજો વિચાર આવ્યોજ નહિ.કોઈને પૂછવાનો કે કોઈની સલાહ લેવાનો ખ્યાલ સુદ્ધા ન આવ્યો.પિતા તરીકે પોતાનું નામ તેમણે એકદમ સહજ-સ્વાભવિક સ્વરૂપે જ લખાવી  દીધું.  ‘રમેશચંદ્ર. દ્વારકાદાસ સરવૈયા’. ન પત્નીને પૂછ્યું,ન બીજા ભાઈભાભીઓને પૂછ્યું કે ન પોતાનાં પુત્રો કે પુત્રીઓને, ભલે એ નાના હતા છતાંય,પૂછી જોયું.  મનથી તો તે પોતાને ઘેર આવ્યો ત્યારથી જ તે નાના બટુકને-તેનું નામ તો રમેશ હતું; પણ ઘરમાં બધા તેને બટુક જ  કહેવા લાગી ગયા હતા, કારણકે અગિયાર મહિનામાં તે તેમના ઘેર આવ્યો ત્યારથી ડગુ -ડગુ  ચાલતો,કાલુકાલુ  બોલતો, હસતો-રમતો,બધાને રાજી રાજી રાખતો થઇ ગયેલો, અને દેખાવમાં થોડો બટકો લાગતો હતો, એટલે તેનું નામ બટુક પાડી દીધું.બટુકની માતા, મુંબઈની ચાલમાં. તે જમાનામાં બહુ  વપરાશમાં  આવતા -રહેતા  પ્રાઈમસ- સ્ટવમાં તે   એકાએક  સળગતા જ ને ફાટતાજ બળવા માંડી હતી અને તરત હોસ્પિટલ લઇ જવા છતાં ય બચી ન શકી  હતી.   તેની બે મોટી બહેનો હતી અને પિતા તો તે સમયની અસાધ્ય બીમારી, ટી.બીમાં, તે પછી થોડા ટાઈમમાં  જ ગુજરી ગયા.

મોટી બહેન અને નાનકડા બટુકને દ્વારકાદાસભાઈ, મોટાભાઈ તરીકે પોતાને ત્યાં લઇ આવ્યા. નાની બહેનની જવાબદારી એક બીજા ભાઈએ સંભાળી લીધી.  આ બધું બન્યું તેના થોડા સમય પહેલા જ એક મોટી દુર્ઘટના દ્વારકાદાસભાઈને પોતાને ત્યાં થયેલી, તે તો તેમના તેમ જ તેમના પત્ની કમળાબહેનને માટે અસહ્યમાં અસહ્ય હતી.તેમનો મોટો, કલૈયા- કુંવર  જેવો   પુત્ર બાબુ, ટાઇફોઇડમાં અને તે પછી ન્યુમોનિયામાં આઠ-દસ દિવસમાં જ જોતજોતામાં ગુજરી ગયેલો.તેનું અસલી નામ નલિન હતું; પણ જન્મથી જ તેનું હુલામણું નામ બાબુ પડી ગયું હતું. આ બાબુનું મૃત્યુ માતા-પિતા માટે વજ્રપાત સમાન હતું. તેમાંય  દ્વારકાદાસભાઈને  તો એટલો જબરો અને  કારમો આઘાત લાગ્યો કે તે  સ્મશાનમાં બેભાન થઇ ગયા અને તેમને તુરંત, ભાઈ જેવા પાડોશીને ઘેર લઈ જવામાં આવ્યા. તાબડતોબ ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને ત્યાં સુધીમાં તો ભાનમાં આવી  દ્વારાકાદાસ ભાનમાં તો આવી ગયા પણ આઘાતમાં અવાચક થઇ ગયા અને પાડોશીના પુત્રની સ્લેટ મંગાવી તેમાં ગરબડિયા અક્ષરે લખ્યું “મારે હવે જીવવું જ નથી.બાબુ વગર હું જીવી જ નહિ  શકું” . ડોકટરે તેમને કામ્પોઝ્નું ઇન્જેક્શન આપી સૂવડાવી દીધા. પાણી પણ પીવાની તેમણે રોતા-રોતા, ડોકું ધુણાવી ના જ પાડી. સ્મશાનથી સહુ આવી ગયા હોવા, છતાં ય પતિને  ઘેર ન આવેલા જોઈ  તેમના  પત્ની કમળાબેન,તેઓ  પાડોશીને ઘેર છે જાણી, સ્મશાનમાં બેભાન પણ થઇ ગયેલા તેમ  સાંભળી અને ડોક્ટરને પણ બોલાવવા પડેલા અને ડોકટરે ઘેનનું ઇન્જેક્શન આપ્યું છે, તે બધી વિસ્તારથી માહિતી મળતા જ પાડોશીને, ત્યાં હાંફળા-ફાંફળા પહોંચ્યા અને ત્યાં સુધીમાં ભાનમાં આવી ગયેલા અને સુનમુન બેઠેલા પતિને  સમજાવીને કે “જો તમે જ હિંમત હારી જશો તો અમે અને બીજા નાનાભાઈ -બહેનો કેવી રીતે આ બાબુ ગયાનું દુખ સહન કરી શકીશું? ચાલો ઘરે; અને હિં મત  હાર્યે કાંઈ  જ વળવાનું નથી. રામ રાખે તેમ રહેવાનું જ આપણા હાથમાં છે.” કહી તે જુના જમાનામાં પણ,  હાથ પકડીને ચાલવાનો રિવાજ નહોતો તોય,પતિને હાથ પકડી,પાડોશીની સાથે પોતાના ઘેર લઇ ગયા. પાડોશીની પત્નીએ પોતાને ઘેર ખીચડી- કઢી રાંધી,તેમને ત્યાં લઇ જઈ, સહુને જેમ તેમ બેચાર કોળિયા જમાડી,તેમને ત્યાં જ સૂઈ- રોકાઈ, તેમને  સાંત્વના આપતા  રહી, લગભગ રડતા-રડતા જ, પરાણે,  નહિ જેવું સૂઈ રાત કાઢી. બીજે દિવસે તો સગાવહાલા વી. બહારગામથી આવી પહોંચ્યા. દ્વારકાદાસભાઈ તો આંખ બંધ કરી મનોમન રડતા  રડતા ચુપચાપ, અવાચક જેવા બની માથું પકડી બેસી રહ્યા અને તેમને એટલો ઊંડો આઘાત લાગ્યો કે તે બાદ લગભગ છ મહિના, તેઓ પોતાની તે જમાનાની ઘણી સારી કહેવાય તેવી નેવું રૂપિયાની નોકરી , પર ગયા જ નહિ અને તેમની નોકરી ગઈ .મિત્રો અને પાડોશીઓએ સમજાવ્યા કે “બેસી રહેવાથી  બાબુ પાછો થોડો જ આવવાનો છે? કાંઈ કામ-ધંધો શરૂ કરો. છેવટે છ જ રૂપિયાના ભાડાની નાની દુકાન લઇ, તેમાં પોતે પહેલા જે પ્રકારની ડાઈઝ ની કમ્પનીમાં કામ કરતા હતા, તેના અનુભવના આધારે  ડાયઝના ડબ્બા ખરીદી વેપાર શરૂ કર્યો. સાથે એક મિત્રે કાગળ અને નોટબુકો પણ વેચવાનું કામ  શીખવાડી દીધું.

તેમના મનનો મણ-મણનો બોજ કૈંક અંશે ઓછો   કરવા માટે જ, માનો ભગવાને તેમને ત્યાં ભાઈ-ભાભી ગુજરી જતા,તેમનો નાનકડો  અગિયાર જ મહિનાનો બટુક તેમને ઘેર કાયમ માટે તેની મોટીબહેન તારા સાથે આવી ગયો. તે બટુકમાં તેમને અને તેમની પત્નીને તો ઠીક;પણ સહુ નાના  મોટા ભાઈબહેનોને પણ બાબુ જ નાના નવા સ્વરૂપે આવી ગયો હોય તેમ લાગવા માંડ્યું.  જોગાનુજોગે, તે જ અરસામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને શરૂ કરેલ અને ધીરે ધીરે વધારતા ગયેલ રંગ અને કાગળ તેમ જ નોટબુકોના ધંધામાં તેઓ સારું કમાવા લાગ્યા.બટુકના પનોતા પગલે નેવું રૂપિયા ની નોકરીને ઠેકાણે તેઓ હવે પોતાના સ્વતંત્ર વેપારમાં ધૂમ કમાવા લાગ્યા.બટુકને બાબુ કહેવાનું મન તો બહુ થયા કરતું ; પણ બાબુને તો પ્રયત્નપૂર્વક ભૂલવાનો જ હતો તેથી તેને બટુકના નામેજ લાડ-પ્યારથી બોલાવતા- રમાડતા.

જયારે તે પાંચ વર્ષનો થયો ત્યારે ત્યારે તેને સમાજની સ્કુલમાં પિતા તરીકે પોતાનું નામ આપી, હમણાજ શરૂ થયેલી,નાનકડી પ્રાથમિક સ્કુલમાં,દાખલ કરી, સહુ બાળકોને હોંસે -હોંસે  પેંડા પણ વહેંચ્યા. તેમના બે મોટા પુત્રો પ્રાથમિક શિક્ષણ પૂરું કરી હાઇસ્કુલમાં જતા થઇ ગયા હતા.મોટી પુત્રીએ ભણવાનું છોડી ઘરમાં માતાને મદદ રૂપ થવાનું શરૂ કરી દીધું હતું. બટુકની મોટી બહેન અને તેમની પોતાની નાની દીકરી બીજી ગર્લ્સ સ્કુલમાં ભણવા જતી રહેતી અને એક-બે વર્ષ જ ભણવામાં આગળ-પાછળ હતી.
 પહેલા,બાબુને અતિ સાદગી અને કરકસર વચ્ચે જ ઉછેરેલો તે યાદ આવ્યા જ કરતું, ભૂલાતું જ નહિ; તેથી હવે બટુકને પૂરા લાડ-પ્યારથી અને સાથે બીજા બધા બાળકોને પણ સારું- સારું ખવડાવવા-પહેરાવવાનું શરૂ કરી દીધું.

ઘરમાં કોઈ કરતા કોઈને  પળ- ભર માટે ય ભૂલથી પણ એવો વિચાર ન આવતો કે બટુક પરાયો છે. તેનું તો લાલનપાલન વિશેષ લાડ-પ્રેમથી થતું. દ્વારકાદાસભાઈના  મોટા પુત્ર જીતેન્દ્રે હાઇસ્કુલમાં એક વાર નાપાસ થતા નિરાશ થઇ, ભણવાનું છોડી, મુંબઈ જઈ પોતાના મામા પાસે ડાઈઝ  અને કેમિકલનો વેપાર શીખવાનું શરૂ કર્યું. તેના નસીબ સારા હતે કે મામાની વડગાદીનો વેપાર તેને ફાવી ગયો અને આગળ જતા મામાની ઓફિસ તેમજ વેપાર તેના હાથમાં આવી ગયા.

તે ખૂબ કમાયો. તેનાથી નાનો દિનેશ ભણવામાં હોંશિયાર હોવાથી અને હરહમેશ પહેલો-બીજો રેન્ક લાવતો હોવાથી, એન્જીનીયર કે ડોક્ટર થાય તેમ લાગતું હતું. પરંતુ તે અરસામાં જ પિતાની તબિયત બગડતા તે તેમની દુકાન સંભાળતો થઇ ગયો અને જેમ તેમ બી.કોમ સુધી ભણી લીધું અને સી.એ.નો કોર્સ પણ થોડો સમય કરી તરત છોડી દેવો પડ્યો.

પિતાના ધંધાવેપારમાં તે પૈસો અને નામ બન્ને કમાવા લાગ્યો.નાનો બટુક, બી.કોમ.સુધી ભણી મોટાભાઈની સાથે મુંબઈમાં ચાલતા વેપારમાં જોડાઈ  ગયો. ત્યાં  મોટાભાઈએ તેને એકદમ સરસ ટ્રેઇન કરી દીધો અને દેશ-વિદેશ ની મોટી-મોટી  કમ્પનિયોની એજન્સીઓ મેળવી લઇ, નવી બની રહેલી, તારદેવ એરકન્ડીશંડ માર્કેટમાં, મોટી ઓફિસ પણ ખરીદી લઇ,વેપાર બહુ જ મોટા પાયે, એક્સપોર્ટ-ઈમ્પોર્ટનું  લાયસન્સ મેળવી, ધમધોકાર શરૂ કરી દીધો. સિકન્દરાબાદમા રહેનાર ભાઈ દિનેશે, માતા-પિતાની દિલોજાનથી સેવા કરતા-કરતા, દુકાન પણ સરસ જોરદાર ચલાવી, ધૂમ એવી કમાણી તો કરી જ કરી; પણ સાથે-સાથે ભાવના અને શોખ હોવાથી સમાજસેવાના પણસ હોંસથી અનેકાનેક કાર્યો કર્યા. મોકો અને તક મળતા એક કેમિકલ ફેક્ટરી પણ શરૂ કરી જેમાં બનતી વસ્તુઓ એવી ડિમાંડમાં હતી કે ખરીદનાર ગ્રાહકો, એક એક લાખ રૂપિયા ડિપોઝિટ આપી પોતાના ઓર્ડરો તેને  મોકલવા લાગ્યા. મુંબઈમાં અને સિકન્દરાબાદમાં બેઉ શહેરોમાં એટલી બધી કમાણી થવા લાગી કે મુંબઈમાં બે ફ્લેટો ખરીદાયા,સિકન્દ્રાબાદમાં પણ રહેતા હતા તે અને તે ઉપરાંત એક પ્લોટ ખરીદી, તેના પર બંગલો બનાવ્યો. સસ્તી હતી એટલે જમીનના ટુકડાઓ પણ ઘણા ખરીદ્યા. મોટી બહેનના લગ્ન ધામધૂમથી થયા.મોટાભાઈના લગ્ન પણ જોરદાર થયા.નાની બહેનને પણ સરસ ઘર-વર મળી ગયા.તે પછી પહેલા દિનેશ અને પછી બટુકના લગ્ન થયા. બટુકના લગ્ન સમયે આ સુખી પરિવાર પાસે એટલી બધી છૂટ  હતી કે પાણીની જેમ પૈસો વાપરી બહુ મોટા પાયે લગ્ન અને  રિસેપ્શન યોજ્યા. હવે માતા-પિતા મુંબઈ આવી, પોતાનો સગો દીકરો ન હોવા છતાં ય વધારે વહાલો લાગતા બટુકને  મોટો ફ્લેટ આપી,તેની સાથે જ રહેવા લાગ્યા. બટુકની પત્ની સાધારણ ઘરની અને થોડું ઓછું ભણેલી હતી, તેથી વધારે ભણેલી વહુઓ કરતા આની સાથે રહેવાનું માબાપને વધારે ફાવી ગયું. મોટો ભાઈ ચાલાક હતો અને તે ઉપરની આવક વ્યાજે ફેરવતો થઇ ગયો,જેની કોઈને ખબર પણ ન પડી.બટુક પણ ઓર્ડરો લેવામાં લાંચ આપવી પડે છે, કહી મોટી રકમો દેવાતી-અપાતી બતાવી, અસલમાં  તેમાંથી, પુષ્કળ બચાવી લેવાતી રકમો,પોતાની પાસે ભેગો કરતો ગયો. તેની મોટી બહેન તો બહુ પહેલા જ, કોઈ સાથે આર્યસમાજી પદ્ધતિથી પરણી, ઘરમાંથી ભાગી ગઈ હતી,જેની સાથે આખા પરિવારે સંબંધ કાપી નાખ્યો હતો. તેની નાની બહેનના પણ,જે કાકા પાસે રહેતી હતી તેમણે, તેના લગ્ન પણ ઠીક-ઠીક કહેવાય એવા વર-ઘર સાથે કરાવી દીધા.

 પરંતુ બહુ લાડ-પ્યારમાં ઉછરેલો બટુક હવે ધીમે-ધીમે, મોકો શોધી વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરવા લાગ્યો. તે પોતે બધાજ બિઝ્નેસમાં એક-સરખો ભાગીદાર તો હતો જ; પણ તે ઉપરાંત સ્વાર્થી બની, પોતાનો ફ્લેટ પોતાના નામે કરાવી લીધો,મુંબઈ આવી વસવા માંગતા ભાઈ દિનેશને નવો ફ્લેટ લેવો પડ્યો.
મોટાભાઈએ પણ નજીકમાંજ એક બહુ મોટો ફ્લેટ ખરીદી લીધો.પણ તે એકાએક મેસીવ હાર્ટ-એટેકથી ગુજરી ગયો અને પહેલેથી બટુક  મુંબઈના ધંધા-વેપારની આંટી-ઘૂંટી જાણતો હતો અને ઓફિસની રૂપાળી સિંધી સેક્રેટરી સાથે તેનો આડો  સંબંધ તો લાંબા સમયથી ચાલતો હતો અને તે પોતાની પત્નીથી લગભગ  વિમુખ જેવો થઇ ગયો   હતોએટલે તે  સિંધી સેક્રેટરીને,  પોતે એક ફ્લેટ અપાવી તેની સાથે હરતો-ફરતો અને રહેતો થઇ ગયો હતો.તેને પહેલી   પત્નીથી  બે  પુત્રો હતા; પણ તેને હવે પત્ની  કે બાળકોમાં નામનો ય રસ ન રહ્યો.માતા-પિતાને બીજા ભાઈને ત્યાં મોકલી, પોતાનો મોટો સજાવેલો ફ્લેટ, જે વર્ષો પહેલા થોડાક લાખોમાં લીધો હતો, તે હવે કરોડોમાં વેચાયો. કોઈને જાણ પણ ન થવા દીધી.પત્ની અને પુત્રોને પિયર મોકલાવી દીધા.   ઉનાળાના  વેકેશનના બહાને,તે પેલી જાણીતી કહેવતને સાર્થક કરતો હોય તેમ, જેટલો  બહાર  હતો એટલો ભોંયમાં નીકળ્યો.

બધે ફોન કરી  અને  ઇમેલ લખી, પોતે જ કમ્પનીનો,  મોટાભાઈ પછી માલિક  છે તેમ જણાવી, હવે પોતાની નવી ઓફિસ ખોલી, બધો વેપાર-ધંધો સ્વતંત્ર રીતે, પોતાના નામે જ કરવા લાગી ગયો. પિતાની તબિયત પુત્રના મૃત્યુ પછી કથળતી જઈ, સાવ લાશ થઇ  ગઈ અને જેને પોતે પોતાના સગા પુત્ર કરતા પણ લાડ-કોડથી,માયા-મમતાથી મોટો કર્યો, તેના નવા કારસ્તાનો સાંભળી, તેમને હવે બાબુ મરી ગયેલો, ત્યારે જે કે જેવો આઘાત લાગેલો, તેના કરતા ય અનેક-અનેક ગણો વિશેષ  કારમો  આઘાત લાગ્યો. તેઓ ફરી એક વાર અવાચક બની ગયા અને મૂંગા-મૂંગા જ પક્ષાઘાતના અટેકમાં પ્રાણ ગુમાવી બેઠા.તેમના પુત્ર-પુત્રવધૂ  માટે તો ભાઈ પછી, પિતા ગુમાવ્યાનો બીજો જબરો શોક  લાગ્યો.ભાભીના બાળકો હજી નાના હતા અને હાથમાંથી જોતજોતામાં ધંધો-વેપાર ચાલી ગયેલો જોઈ, તેઓ તો બટુકનું વિકૃત વિરાટ સ્વરૂપ જોઈ-જાણી, પારાવાર દુખી થયા. નસીબે  સીકન્દ્રાબાદની  દુકાન અને ફેકટરીમાં કમાણી સારી હતી અને તેમાં લાંબુ વિચારી દિનેશે તે પોતાના નામે જ રાખેલી અને ત્યાં બે મકાનો પણ હતા એટલે આર્થિક સ્થિતિ ઠીક જ હતી. મુંબઈમાં નવી ઓફિસ કરી ભાભીના  દીકરાઓને અને પોતાના દીકરાઓને સરખી રીતે ટ્રેઈન કરી હોંશિયાર બનાવ્યા અને નવેસરથી વેપાર-ધંધો જમાવ્યો.  

                                   
નસીબની યારી કે જેમાં હાથ નાખ્યો, તેમાં કમાતા જ ગયા.પરંતુ યંગ બ્લડ સાહસ કરવા તત્પર હતું અને મુંબઈ મા જ એક પ્રાયવેટ લિ ટેડ ફેક્ટરી શરૂ કરી અને સારી ચાલી, એટલે પબ્લિક લિમિટેડમાં તેનું મોટું પરિવર્તન કર્યું. સરસ ચાલવા લાગી. શેર ઉપરને ઉપર જઈ રહ્યા હતા. પરંતુ આગળ જતા, બટુકે ચાલાકી કરી શેર ખરીદ-વેચ કરી શેર ગગડાવી દીધા. સ્ટાફને પોતે શરૂ કરેલ ફેકટરીમાં ખેંચી લીધા અને સાચા-ખોટા  કેસો કરી સમસ્ત પરિવારને કોર્ટના દરવાજા દેખાડ્યા. આ બધું જોઈ-જાણી બિચારા માતા કમળાબહેન પણ એક રાતે ઊંઘમાં ને ઊંઘમાં જ ગુજરી ગયા. સ્વાર્થી બટુક આવ્યો સુદ્ધા નહિ અને તેની પિયરમાં જ રહેતી પત્ની પણ બ્લડ કેન્સરથી  મૃત્યુ  પામી.તેના બન્ને પુત્રો ભણવામાં હોંશિયાર હોવાથી અને મોકો મળતા અમેરિકા ચાલી ગયા અને ત્યાજ સેટલ થઇ ગયા. બટુકની સિંધી રખાત પોતાના  નામનો ફ્લેટ વેચી, પૈસા રોકડા કરી, કોઈ બીજા સાથે ભાગી ગઈ.બટુકનો વેપાર પણ હવે પત્નીના મૃત્યુ પછી અને પુત્રોના અમેરિકા ચાલ્યા જવાથી તથા જેના પર સો ટકા વિશ્વાસ રાખી, પોતાનું બધું જ જેના નામે કરી દીધું હતું, તે સિંધી પ્રેમિકા ભાગી જવાથી, તે ડીપ્રેશનનો ભોગ બની ગયો,થોડો ગાંડા  જેવો થઇ ગયો. સ્ટાફના લોકો પણ તેને છેતરી, બધું ઓહિયા કરી ભાગી ગયા. ન ઘર,ન ઘરવાળી, કે ન ધંધો-વેપાર. તે દિનેશ પાસે આવી નતમસ્તક માફી માંગતો, રહેવા-ખાવા પુરતી, કાંઇક મદદ માંગવા આવ્યો. આંખ મેળવી, વાત પણ કરી શકવાની, તેનામાં હામ નહોતી રહી.                     

“બદલો તો એવો લઈશું કે જનમ -જનમ સુધી યાદ રાખશે” તેમ, સહુ  ફરી વેપાર-ધંધામાં બાહોશ અને સફળ થઇ ગયેલા, જુવાનજોધ પોતાના અને ભાભીના પુત્રોકહેવા લાગ્યા. “હાશ,મોકો મળ્યો.હવે બરાબર બદલો લઈશું.ભીખ માંગતો કરી દઈશું.તેના પોતાના અમેરિકાસ્થિત દીકરાઓ, પણ ત્યાં જ પરણી,  ન પાછા પણ આવવા તૈયાર ન હતા,કે ન તો સ્વાર્થી પિતાને અમેરિકા બોલાવવા પણ તૈયાર હતા.

“હવે જુઓ આ બટુકજીનાં શા હાલ-હવાલ થાય છે.તેને તો કેસ કરી, જેલમાં ના-ખી દેવા જેવું છે કે વૃદ્ધાશ્રમમાં મોકલી દેવા જેવું છે.” સહુ પુત્રો અને ભત્રીજાઓ  કહેવા લાગ્યા. પરંતુ દિનેશની   ખાનદાનીની બોલી ઊઠી:”બદલો તો  લઈશું, પણ  તેને સાથે રાખીને,સાથે જમાડી-જુઠાડીને, ઘરમાંજ સાથે સંગાથે, રાખી-સુવડાવીને અને તેનો  સરખો બરાબર મેડિકલ  ઈલાજ કરી- કરાવીને.તેણે  બાબુભાઈનું સ્થાન લઈને, આપણા માબાપને ‘ત્યારે’  જે સુખ-શાંતિ’ આપેલા,તેનો બદલો તો ‘અત્યારે’ વાળવાનો જ છે ! 

(સત્ય ઘટનાત્મક વાર્તા )                  

(સમાપ્ત)

માતૃ- મંદિર…

સાવ નાની ઉમરમાં જ વિધવા થઇ ગયેલી જ્યોતે, પોતાના  રાંકના રતન જેવા એક માત્ર લાડકડા પુત્ર કીર્તિને,સારામાં સારું ભણાવી-ગણાવી એન્જીનિયર બનાવવાનું સ્વપ્ન રાત-દિવસ જોતા રહી, પતિની પણ એવી જ ઈચ્છા હતી, તે યાદ રાખી, તે પ્રમાણે પોતાની દિનચર્યા અને જીવનશૈલી અપનાવેલી.

એ માટે તે રાત-દિવસ ઘરે-ઘરે ફરી, અર્ધી રાત સુધી કરેલા ખાખરા,નાસ્તા માટેની, મીઠા-જીરાની તેમ જ ફરસી સ્વાદિષ્ટ પુરીઓ તેમ જ પાણી-પુરીની ફૂલેલી પુરીઓ,ભેળપુરીની પૂરીઓ વી.નાસ્તા વેચતા રહી,ઉનાળાના તડકામાં ખીચાના-સાબુદાણાના  પાપડ-પાપડી બનાવી, સૂકવી-વેચી, તેમજ બપોરે-સાંજે,જેને જરૂર હોય તેને જમવાના ટિફિન પહોંચાડી,  પોતાનો ઘર-ખર્ચ તેમ જ કીર્તિને ભણાવવાના ખર્ચને પહોંચી વળવા અથાગ પ્રયાસ કરતી રહેતી.અને માની ઈચ્છા,ભાવના અને સ્વપ્નને પૂરું કરવા કીર્તિ પણ ખંતથી,હોંસથી અને પૂરા પરિશ્રમથી ભણતો રહેતો. જ્યોતના પતિ રશ્મિનના ખાસ મિત્ર, જેને જ્યોત સગા ભાઈથી પણ વિશેષ માનતી તે, પ્રોફેસર વસંત, કીર્તિને  શિષ્યવૃત્તિ વી. અપાવી, હૈદરાબાદ શહેરની નજીકના જ શહેર વારંગલની રીજનલ એન્જીનિયરિંગ  કોલેજમાં એડમિશન અપાવી,  તેને ૪ વર્ષમાં  સિવિલ એન્જીનિયર બનાવી,એક જાણીતા ઉદ્યોગપતિ અને મોટા બિલ્ડરને ત્યાં તેને નોકરી પણ, બહુ વધારે નહિ,બહુ ઓછો નહિ, તેવા  પગારે, પોતાની ઓળખાણના આધારે અપાવી દીધી.
 પ્રોફેસર વસંતના ચારે ચાર પુત્રો અમેરિકા પહોંચી ગયા હતા-બે ડોક્ટર થઈને, તો બે એન્જીનીયર થઈને. કીર્તિ સાથે ભણેલા લગભગ બધાજ મિત્રો સ્ટુડંટ-વિસા લઇ અમેરિકા  પહોંચી ગયા હતા. કીર્તિને પણ અંદરથી બહુ મન થતું કે પોતે પણ ત્યાં અમેરિકા પહોંચી ખૂબ કમાઈ-ધમાઈ, પોતાના મિત્રોની જેમ, પોતાનું કરિયર બનાવે.

તેણે ડરતા-ડરતા માતા  જ્યોતને પોતાની ઈચ્છા દર્શાવી. જ્યોત પુત્રનું ભવિષ્ય સુધરે અને તે ખૂબ-ખૂબ સુખી થાય તેમ હૃદયપૂર્વક  ઇચ્છતી હતી; પણ એકના એક પુત્રના વિદેશ જવાથી જે લાંબો વિયોગ સહેવો પડશે તેની કલ્પના માત્રથી ડરી રહી હતી. તેણે બિલકુલ તટસ્થ ભાવે સલાહ આપી:”તું સહુથી પહેલા વસંત મામાને  મળી આવ અને તેઓ જેમ કહે તેમ નક્કી કરજે.તેમના તો ચારે ચાર પુત્રો અમેરિકા જ ગયેલા છે;  અને તું ત્યાં જઈશ તો તને તેમની મદદ પણ મળી જશે. તું સીધો ફોન કરી તેમને મળી આવ. હું તેમને કાંઈ પણ મારા તરફથી કહેવાની નથી.તેઓ સાચી અને યોગ્ય જ સલાહ આપશે.”

કીર્તિ તો ખુશ-ખુશ થતો,રાજી-રાજી  થતો વસંતમામાને ઘેર પહોંચ્યો. તેને ખાતરી હતી કે પોતાના પુત્રોને મોકલી તેમનું ભવિષ્ય બનાવનાર મામા, તેને પણ ત્યાં જવા માટે પ્રોત્સાહિત  કરશે જ અને કૈક સગવડ પણ કરી આપશે.

 વસંત  અને તેની પત્ની એક વાર વેકેશનમાં ત્યાં જઈ આવ્યા હતા.તેમણે દિલ ખોલીને કીર્તિ સાથે લંબાણથી વાતચીત કરી અને સાચી સલાહ આપતા કહ્યું: “જો, દૂરથી ડુંગરા રળિયામણા લાગે.ત્યાં મહેનત-મજૂરી ગધેડાની જેમ કરવી પડે છે અને જોબમાં પૂરા આઠ કલાક વૈતરું કરવું પડે છે. ભણવાનું મોંઘુ પણ છે  અને જો સાથે મળે તો નાનો-મોટો જોબ પણ કરવો જ પડે છે. તું ત્યાં બેવર્ષ ભણીશ,તે પછી એક-દોઢ વર્ષ જોબ કરી એચ-વન વિસા મેળવી અહીં પરણવા આવીશ. તે પછી બે ટિકિટ  લઇ પાછો ત્યાં જઈશ. છેક પાંચ વર્ષ પુરા થશે અને તે ગ્રીનકાર્ડ મળ્યા પછી બીજા પાંચ વર્ષે  સિટિઝનશિપ મળશે. એટલે    તું જ વિચાર કર, તારા માટે રાત-દિવસ મહેનત- મજૂરી કરી, તને ભણાવીગણાવી, એન્જીનિયર બનાવનાર, તારી માતાનું ત્યાં સુધી તેને અહીં એકલી મૂકી છોડી
ત્યાં અમેરિકા ચાલી જઈ, તું તેનું શું   ભલું કરીશ-શું દળદર ફીટવાનો? ભાગ્ય માણસનું પોતાની સાથે જ હોય છે. તું અહીં પણ ભવિષ્યમાં ઘણો સુખી થઈશ જ. કાંઈ નહિ તો તારી માતાને તો સુખી કરીશ જ.પરણીશ તો દીકરા-વહુ સાથે રહેવાનો, તેને લ્હાવો પણ મળશે. મારી સલાહ માની લે અને માતાની સેવા કર, તેના આશીર્વાદથી, અહીં જ સુખેથી રહે. પ્રભુ તને સદબુદ્ધિ આપે.”

કીર્તિને ક્ષણભર તો મામાની સલાહ થોડી અળખામણી  અને કડવી લાગી; પણ ઘર જતા-જતા તેને તે વાત ગળે ઉતરી અને ઘેર પહોંચી માતા જ્યોતને જોઈ,  ત્યારે  લગભગ રડી પડતા, ગદગદ કંઠે બોલ્યો: “બા, તને  છોડી મારે ક્યાય જવું નથી. તું જ મારું અમેરિકા છે, તું જ મારું સ્વર્ગ છે.” જ્યોત પુત્રની સાચી લાગણી જોઈ, તેની ભાવના જાણી ,તેનો માતૃપ્રેમ અનુભવી,  રોઈ  પડી. તેને મામાએ સાચી જ સલાહ આપી. મા તો પ્રેમાળ હોય જ; પણ  મામા તો  બે મા જેટલા, પ્રેમાળ નીકળ્યા.  તે રાતે તેને પતિનું સ્મરણ કરતા-કરતા અને પુત્રના સુખમય ભવિષ્યનું સ્વપ્ન  જોતા  જોતા ઘણી શાંતિભરી ગાઢ ઊંઘ આવી.

જે બિલ્ડર પાસે તે કામ કરતો હતો, શીખતો હતો ત્યાં પોતાની સૂઝ-સમઝ થી તેણે ઘણું બધું જાણી  લીધું. તેનો પગાર પણ વધતો ગયો અને તે એક વાત બરાબર સમજી ગયેલો કે કરકસર મોટો ભાઈ છે, તેથી તે ઉડાઉપણાથી હમેશા બચેલો રહેતો અને બચતમાંથી જ્યાં,જયારે,જેવી અને જેટલી મળે તેટલી જમીનો ખરીદે જતો. તે સો ટકા  સમજી ગયો હતો કે  દુનિયામાં ત્રણ ભાગ પાણી છે અને એક જ ભાગ જમીન છે, તેથી જમીનના  ભાવ તો વધવાના  જ વધવાના. બે વર્ષના અનુભવ પછી  કીર્તિએ પોતાનું કામકાજ શરૂ કરી દીધું.

સસ્તા ભાવે લીધેલા મોટા પ્લોટ પર, મધ્યમવર્ગના પરિવારો માટે નાના-બે-ત્રણ રૂમના ખૂબ  સગવડભર્યા ફ્લેટો બનાવી, ઠીક-ઠીક કમાણી કરી લીધી.તે પછી તો એકથી બીજે,મોઢે-મોઢ વખાણ થતા,તેને બાંધકામના ઓર્ડરો પણ મળવા લાગ્યા.મમ્મીને બધા મહેનત-મજૂરીના કામ તો તેણે બહુ પહેલાજ છોડાવી દીધા હતા.નાનકડી  ટી.વી.એસ. સ્કૂટી થી શરૂ કરેલી તેની  સફર મોટરબાઈક સુધી પહોંચી અને એક મોટા કામકાજમાં ધૂમ કમાણી થતા તે કાર પણ ખરીદી શક્યો. કારનો રંગ પસંદ કરવા તે મમ્મીને સાથે લઇ ગયો,તેમાં તેને બેસાડી અને પછી ચલાવી, ઘર જતા પહેલા,ઘરની પાસેના નાનકડા મંદિરમાં જઈ, ભગવાનને પગે લાગી, કારની પૂજા કરી, કારને હાર ચડાવી, નારિયેળ વધેરી, કારમાં સહુથી પહેલા તે  વસંત  મામાને ત્યાં મમ્મીને લઇ જઈ, તેમને પગે લાગ્યો.”તમારી સલાહ માનવાથી હું અને મમ્મી સુખી જ સુખી થયા છીએ.” આશીર્વાદ આપતા  વસંત  મામાએ કહ્યું:”આ તો શરૂઆત છે.આગે આગે દેખિયે હોતા હૈ ક્યાં?”

અને તેમની વાત સાચી જ નીકળી, સોએ સો  ટકા સાચી જ પુરવાર થઇ.પોતાના એક નહિ-નાના,નહિ- મોટા એવા પ્લોટ પર, પોતાનું મકાન પણ બાંધ્યું.તે પ્લોટને અડીને એક બીજો પણ મોટો પ્લોટ સસ્તામાં મળી ગયો, તો તે પણ લઈને રાખ્યો. હવે તે સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન આપવા લાગી ગયો.પોતે ભણતી વખતે મુશ્કેલીઓ જોઈ હતી એટલે સહુથી પહેલા તો સમાજ માં તેણે બુક-બેંક ઊભી કરી. તે માટે પોતે બહુ જ મોટું દાન આપ્યું,ચારે બાજુથી ફંડ-ફાળો કરી તે બુક્ બેંકને સદ્ધર બનાવી. મેડિકલથી લઈને,એન્જીનિયરિંગ  સુધીના અને બીજા પણ બધાજ અભ્યાસક્રમો માટે જેને જોઈએ, તેને ભણવા માટે ગમે તેટલા મોંઘા હોય તો ય, બુક્બેન્ક્માંથી પાઠ્યપુસ્તકો,રેફરેન્સબુકો પણ મળી શકે, તેવી વ્યવસ્થા કરાવી અને પોતે જ તેનો ચેરમેન બન્યો. ખૂટતા પૈસા ભેગા કરવાની અને એમરજન્સીમાં પોતે જ જોઈતી જરૂરી રકમ ભોગવી લેવાની તેની તૈયારી જોઈ મોટા મોટા દાતાઓ પણ મોંમાં આંગળા નાખી ગયા.આ બુક બેંક  ભણતા જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન પુરવાર થવા લાગી.તે પછી તે મંદિરો માટે દાન-ધર્માદો ભેગો કરવા લાગ્યો અને પોતે પોતાની આવકનો દસમો ભાગ તો આપતો જ હતો  અને અન્નદાનનો પણ, અઠવાડિયે એક વાર, જુદા-જુદા સ્થળોએ કાર્યક્રમ ગોઠવતો. બીજાઓને પણ તે પ્રમાણે  દસ ટકા નું નિયમિત દાન આપવાની પ્રેરણા દેવા લાગ્યો. મંદિરના  બાંધકામની ફી તો તે લેતો જ નહિ, તેથી તેનું  જાહેરમાં માંન-સન્માન થવા લાગ્યું.

પોતાની માતાની સ્થિતિ તે એક વિધવા તરીકે જોઈ ચૂક્યો હતો અને તેથી તેણે નિ:સહાય એવી વિધવાઓ માટે અને તેમના બાળકો માટે ભણાવવા-ગણાવવાની,રહેવાની નિ:શુલ્ક  વ્યવસ્થા કરવાના આશયથી, પોતાના ઘરની પાસેના,અડીને જ ઊભેલા પ્લોટ પર, વિશાળ, અનેક માળવાળું ભવન બાંધ્યું અને તે આશ્રયભવનને  ‘માતૃ મંદિર’ નામ આપ્યું અને તેનું ઉદ્ઘાટન પોતાની મમ્મીના હાથે જ કરાવ્યું,જેમાં મુખ્ય અતિથી તરીકે તેના  વસંતમામા જ હતા.

બે શબ્દોમાં તે એટલું જ બોલ્યો: “મને અમેરિકા ન જવાની સાચી સલાહ આપનાર અને મારી માતાનું જ સુખ જોનાર આવા મામા સહુને   મળજો.મને અહી ધન તો ખૂબ-ખૂબ  મળ્યું જ છે; પણ સાથે-સાથે  માન -સન્માન પણ  પુષ્કળ મળ્યું છે.આ બધું મારી માતાના આશીર્વાદનું ફળ છે તેથી આ ‘માતૃ- મંદિર’ તેમનાવરદ હસ્તે જ લોકાર્પણ કરું છું.”  હાજર રહેલા સહુ કોઈએ તાળીઓના ગડગડાટ થી તે લોકાર્પણ વધાવી લીધું.

અનેક અનેક નિરાશ્રિત નિ:સહાય વિધવા માતાઓના નેત્રોમાંથી આશીર્વાદમિશ્રિત હર્ષાશ્રુ  વરસ્યા.

(સમાપ્ત)

Previous Older Entries

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.